જામનગરમાં જરૂર ન હોવા છતાં ૫૩ દર્દીઓની કાર્ડિયાક પ્રોસીજર કરાઈ
જામનગર, ગુજરાતના આરોગ્ય વિભાગે સરકારી યોજનાઓમાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરી છે. આ જ શ્રેણીમાં જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટીટ્યુટને ‘પી.એમ.જે.એ.વાય.-મા’ યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ અને ગેરરીતિ આચરવા બદલ તાત્કાલિક અસરથી યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ‘જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટીટ્યુટ દ્વારા કરવામાં આવેલા કુલ ૧૦૫ કાર્ડિયાક પ્રોસીઝરમાં ગેરરીતિ જણાઇ આવતા હોસ્પિટલને ૬ લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.
હોસ્પિટલ દ્વારા પીએમજેવાયના બે કેસમાં લેબોરેટરી રિપોર્ટમાં અને ચાર કેસમાં ઈસીજી રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસીજરની જરૂરિયાત હોવાનું ખોટી રીતે દર્શાવવામાં આવ્યું હતું.’રાજ્યકક્ષાએથી આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા કુલ ૨૬૨ કેસની તપાસ કરાવતા તેમાંથી ૫૩ કેસમાં વિસંગતા જોવા મળી હતી, જેમાં જરૂર ન હોય તેવા કેસમાં પણ કાર્ડિયાક પ્રોસીજર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.આ ગેરરીતિમાં સામેલ હોવાના કારણે ડૉક્ટર સામે પણ કડક પગલાં લેવાયા છે.
આરોગ્ય મંત્રી પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ‘જેસીસી હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ડો. પાર્શ્વ વ્હોરા દ્વારા કાર્ડિયોલોજી અને કાર્ડિઓવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં કરવામાં આવતી ક્ષતિના કારણે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.’આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સ્પષ્ટતા કરી હતી કે, ‘રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે.
પી.એમ.જે.એ.વાય.-મા યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે.’અન્ય બે હોસ્પિટલોને દંડઆકસ્મિક નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતાં રાજ્યની વધુ બે ખાનગી હોસ્પિટલોને દંડ કરવામાં આવ્યો છે.
આ હોસ્પિટલો પૈકી પાલનપુરની સદભાવના હોસ્પિટલમાં એમ્પેનલ્ડ ડોક્ટર સિવાય ના ડોક્ટર દ્વારા સર્જરી કરવામાં આવતા અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલને નિયત કરેલ પેકેજ કરતાં વધુ રૂપિયાની લાલચે અન્ય પેકેજ બુક કરવા બદલ ૫૦-૫૦ રૂપિયા હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.આ કડક કાર્યવાહી સ્પષ્ટ સંદેશ આપે છે કે સરકારી આરોગ્ય યોજનાઓનો દુરુપયોગ કરનારી હોસ્પિટલો સામે રાજ્ય સરકારની સતર્કતા ચાલુ રહેશે.SS1MS
