ગેરેજ-વર્કશોપમાં રીપેરીંગ માટે આવતા વાહન અને માલિકની નોંધણી ફરજિયાત
AI Image
૧૮ નવેમ્બરથી ૧૬ જાન્યુઆરી સુધી અમલમાં રહેનારા આ નિર્દેશ મુજબ તમામ ગેરેજોને વાહનો અને તેમના માલિકોના વિગતવાર રેકોર્ડ જાળવવા અને તેમના પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે.
અમદાવાદ, દિલ્હીના લાલ કિલ્લા નજીક તાજેતરમાં બનેલી કાર-બોમ્બ ઘટનાના પગલે અમદાવાદના પોલીસ કમિશનરે ગેરેજ માલિકોને વાહનોના રેકોર્ડ રાખવા અને સીસીટીવી કેમેરા લગાવવા માટે ફરજિયાત આદેશ જારી કર્યો છે.
અમદાવાદ સિટી પોલીસ કમિશનરેટ દ્વારા તાજેતરમાં લેવાયેલા એક કડક પગલામાં શહેરના તમામ વર્કશોપ્સ, ગેરેજો અને સર્વિસ સ્ટેશનોના સઘન મોનિટરિંગ માટે એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ નિર્ણય પર દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર-બોમ્બ વિસ્ફોટની ઘટનાની ગહન અસર જોવા મળી રહી છે.
૧૮ નવેમ્બરથી ૧૬ જાન્યુઆરી સુધી અમલમાં રહેનારા આ નિર્દેશ મુજબ તમામ ગેરેજોને વાહનો અને તેમના માલિકોના વિગતવાર રેકોર્ડ જાળવવા અને તેમના પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે.
શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે ૧૭ નવેમ્બરના રોજ જાહેર કરેલા આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે રિપેરિંગ, સર્વિસિંગ કે મોડિફિકેશન માટે આવતા તમામ વાહનો માટે ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશનોએ વિગતવાર રેકોર્ડ જાળવવો પડશે અને પ્રવેશ તથા બહાર નીકળવાના સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા પડશે.
જાહેરનામા મુજબ ઝડપી ઔદ્યોગિક વિકાસને કારણે અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદમાં આવી રહ્યા છે.
વધતી વસ્તી ગીચતા સાથે, ચોરી, લૂંટ અને સ્નેચિંગ જેવી ઘટનાઓમાં પણ વધારો જોવા મળ્યો છે. પોલીસ નોંધે છે કે આવા ઘણા ગુનાઓમાં ગુનેગાર અને અસામાજિક તત્વો દ્વારા ચોરાયેલા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરનો ઉપયોગ કરવામાં આવે છે.
જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુનો આચર્યા બાદ અપરાધીઓ વારંવાર આ વાહનોને છોડી દે છે અથવા રિપેર, મોડિફિકેશન કે નિકાલ માટે સ્થાનિક ગેરેજોમાં લઈ જાય છે. જોકે, ગેરમાર્ગે દોરવા અથવા સંડોવણીના ડરથી, ઘણા ગેરેજ માલિકો ગ્રાહકોની ઓળખ અથવા વાહનના દસ્તાવેજોનો રેકોર્ડ રાખવામાં નિષ્ફળ જાય છે, જેનાથી તપાસમાં મોડું થાય છે અને ગુનેગારો છટકી જાય છે.
આ ખામીઓને દૂર કરવા માટે કમિશનર મલિકે તમામ ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશનના માલિકો, ઓપરેટરો અને મેનેજરોને તેમના પરિસરમાં આવતા દરેક વાહન માટે ફરજિયાત રજિસ્ટર જાળવવાનો આદેશ આપ્યો છે.
જાહેરનામા મુજબ ગેરેજ માલિકોએ વાહન માલિકના આઈડી પ્રૂફ અને વાહનના રજિસ્ટ્રેશન દસ્તાવેજોની નકલો પણ મેળવીને રાખવી પડશે. પોલીસ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ દરમિયાન માંગણી કરવામાં આવે ત્યારે આ રેકોડ્ર્સ રજૂ કરવા પડશે.
