Western Times News

Gujarati News

ઉંમરના નવ દાયકા પૂરા કરી ચુકેલા નાગરિકોનું મુખ્યમંત્રીશ્રીએ સન્માન કર્યુ

વયવંદના સમારોહમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ

અમદાવાદમાં વયવંદના સમારોહમાં ઉદબોધન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડીલો યુવા પેઢી માટે દીવાદાંડી સમાન છે. વડીલો ઉંમરનો તકાજો અને અનુભવનો ખજાનો ધરાવે છે. જ્યાં મોભીઓ બેઠા હોય ત્યાં સમાજમાં સંસ્કાર, લાગણી અને ભાવનાનું સિંચન થતું રહે છે. આ પ્રસંગે મેયર શ્રીમતી બિજલબેન પટેલ, વયવંદના સમિતિના મહામંત્રી શ્રી કે.બી.બારોટ, શહેર લાફ્ટર ક્લબના અધ્યક્ષ શ્રી મુકુંદ મહેતા અને વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આપણે વ્યક્તિથી સમષ્ટિના કલ્યાણનો વિચાર કરનારા છીએ. કુટુંબ વ્યવસ્થામાં વડીલ સર્વોપરી હોય છે. વડીલો માટે આદરનો ભાવ આપણે સૌ કોઈમાં સહજ છે.

ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ચાર વર્ણાશ્રમનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ કહયું કે, સંન્યાસ આશ્રમ એ માત્ર ભૌતિક ત્યાગ નહીં પરંતુ મનથી – વિચારોથી ત્યાગની વિભાવના શીખવે છે. સંન્યસ્તાશ્રમમાં રાગ-દ્વેષ સહિતના વિકારોનો ત્યાગ પણ નિહિત છે. અહમ-મમત્વના ભાવથી ઉપર ઉઠીને સમ્યકભાવ કેળવી મોહ-માયા છોડવી એ જ સાચો સંન્યસ્તાશ્રમ છે એમ ભારતીય વૈદિક પરંપરા શીખવે છે.

મુખ્યમંત્રીશ્રીએ કહયું કે, વૃદ્ધાવસ્થા એટલે પ્રવૃત્તિથી નિવૃત્તિ તરફ જવાનો કાળ છે સાથે જ મનોવૃત્તિને પણ તમામ માર્ગોમાંથી પાછી વાળી નિવૃત્તિનો આનંદ માણવાનો સમય છે.  મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં વડીલો બેઠા છે એ ગુજરાતનું ગૌરવ છે અને એટલે જ ગુજરાતનો યુવાવર્ગ વડીલોના પીઠ બળે સ્વઉત્કર્ષના માર્ગે છલાંગ લગાવતા જાય છે.

મુખ્યમંત્રીશ્રીએ કહયું કે, ગુજરાતની સરકાર સંવેદનશીલ સરકાર છે, રાજ્ય સરકારને વૃદ્ધ -વડીલોની સંપૂર્ણ દરકાર છે. વિવિધ સંસ્થાઓ તરફથી આવતી માગણીઓને હર-હંમેશ પૂરી કરવા માટે સરકાર તત્પર રહી છે.   મુખ્યમંત્રીશ્રીએ શહેરના વરિષ્ઠ નાગરિકોને સન્માનપત્ર એનાયત કર્યા હતા સાથે જ વયવંદના સમિતિ દ્વારા પ્રિવિલેજ કાર્ડ પણ અર્પણ કર્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.