શિક્ષિકાએ 100 ઉઠક-બેઠકની સજા આપતા ૧૨ વર્ષની વિદ્યાર્થિનીનું મોત
પાલઘર, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક ખાનગી શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શાળામાં પહોંચવામાં ૧૦ મિનિટનો વિલંબ થતાં કથિત રીતે ઉઠક-બેઠકની સજા આપવામાં આવી હતી. આ ઘટનાના લગભગ એક અઠવાડિયા પછી આ વિદ્યાર્થિનીનું મોત થઈ ગયું. વિદ્યાર્થિની ૧૨ વર્ષની હતી.
આ મામલે હવે પોલીસે ઉઠક-બેઠકની સજા આપનાર શિક્ષિકા મમતા યાદવ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સારવાર દરમિયાન વિદ્યાર્થિના મોત બાદ પહેલા એડીઆર નોંધવામાં આવ્યુ હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તેના પરિવારની ફરિયાદના આધાર પર હવે શિક્ષિકા વિરુદ્ધ બીએનએસની કલમો હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે.
વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર દિલીપ ઘુગેએ જણાવ્યું કે, ૮ નવેમ્બરના રોજ શિક્ષિકાએ ઘણા બાળકોને મોડા આવવા બદલ ૧૦૦ વખત ઉઠક-બેઠક કરવાની સજા આપી હતી. આ ૧૨ વર્ષની વિદ્યાર્થિની પણ પોતાના ખભા પર બેગ લટકાવીને સજા પૂરી કરે છે. ઘરે પરત ફર્યા પછી છોકરીની તબિયત ઝડપથી બગડતી ગઈ.
તેના પરિવારે તેને પહેલા વસઈની એક હોસ્પિટલમાં દાખલ કરી અને પછી જ્યારે તેની તબિયત વધુ ખરાબ થઈ ત્યારે તેને મુંબઈની જેજે હોસ્પિટલમાં રિફર કરવામાં આવી. જ્યાં ઘણા દિવસો સુધી જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કર્યા બાદ તેનું મોત થઈ ગયું.
મહારાષ્ટ્રના વસઈમાં ૧૨ વર્ષીય વિદ્યાર્થિના શંકાસ્પદ મૃત્યુથી સ્થાનિક વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગને મુશ્કેલીમાં મૂકી દીધા છે. – પરિવારના સભ્યોએ શાળાના વહીવટીતંત્ર પર બાળકીને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે બાળકીનું મોત થયું. – આ ઘટના વસઈ પૂર્વના સાતિવલી સ્થિત શ્રી હનુમાન વિદ્યા મંદિરની છે, જ્યાં શાળાએથી પાછા ફર્યા બાદ ધોરણ ૬માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી.
