વર્લ્ડ હેરિટેજ વીક – 2025: AMC દ્વારા અત્યાર સુધીમાં 5500થી વધુ હેરિટેજ વોકનું આયોજન કરાયું
વર્લ્ડ હેરિટેજ વીક – 2025ની શરૂઆત : અમદાવાદમાં વૈશ્વિક સ્તરે પર્યટનને પ્રોત્સાહન આપવા શહેરનાં હેરિટેજનું બ્રાન્ડિગ થશે.
યુનેસ્કો દ્વારા 8 જુલાઈ 2017ના રોજ અમદાવાદને ભારતના પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’નો દરજ્જો આપવામાં આવ્યો હતો.
અમદાવાદ ઇન્ટરનેશનલ બૂક ફેસ્ટિવલ 2025માં અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટનો સ્ટોલ મૂકાયો છે, જ્યાં જાહેર જનતા અમદાવાદનાં હેરિટેજને કઇ રીતે વધુ યોગ્ય બનાવી શકાય તે માટેનાં સૂચનો આપી શકે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલી સત્તાવાર વેબસાઇટ https://heritagewalkahmedabad.com/ પરથી અમદાવાદ હેરિટેજ વૉક વિશેની માહિતી મળશે
અમદાવાદમાં વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત થતા શહેરમાં ફરી એકવાર તેના ગૌરવશાળી હેરિટેજની ઉજવણી થઇ રહી છે. 2017માં યુનેસ્કો દ્વારા ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે માન્યતા મેળવનાર અમદાવાદ શહેરનો ઇતિહાસ, સ્થાપત્ય અને સંસ્કૃતિના અમૂલ્ય વારસાને ઉજાગર કરવા આ સપ્તાહમાં વિશેષ આયોજનો થયા છે.
જેની શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં હેરિટેજ વિભાગ દ્વારા હેરિટેજ વીકનાં અંતર્ગત ટૂર ઓપરેટર્સ અને એજન્સીઓ સાથે મળીને અમદાવાદને વૈશ્વિક સ્તરે પ્રવાસનનું સ્થળ તરીકે ઓળખ મળે તે માટેના પ્રયત્નો થાય તે માટેની વિવિધ પ્રવૃત્તિઓનું હાથ ધરવામાં આવી છે. તેમજ અમદાવાદ ઇન્ટરનેશનલ બૂક ફેસ્ટિવલ 2025માં અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટનો સ્ટોલ મૂકાયો છે, જ્યાં જાહેર જનતા અમદાવાદનાં હેરિટેજને કઇ રીતે વધુ યોગ્ય બનાવી શકાય તે માટેનાં સૂચનો આપી શકે છે.
અમદાવાદમાં પર્યટનને પ્રોત્સાહન મળે તે માટે AMC દ્વારા શહેરને ‘ટુરીઝમ ગેટવે’ તરીકે વિકસાવવાની દિશામાં અનેક પગલાં હાથ ધરવામાં આવ્યા છે. લાંબા સમયથી જોવા મળતું હતું કે ગુજરાતમાં આવતા પર્યટકો સીધા અન્ય જિલ્લાઓ તરફ જતા હતા, જેમ કે કચ્છ, ગિરનાર કે અન્ય સ્થળો અને અમદાવાદમાં રોકાતા નહોતા, પરંતુ અમદાવાદનાં હેરિટેજને પ્રોમોટ કરીને અમદાવાદ શહેરનું અલગ પ્રકારનું બ્રાન્ડિગ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે માટે શહેરમાં અનેક જાગૃતિનાં કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત શહેરના કોટ વિસ્તારમાં આવેલાં હેરિટેજ ઘરોના રિપેરિંગ રિસ્ટરેશન અને ઐતિહાસિક સ્થળોના સંરક્ષણ માટે હેરિટેજ કન્ઝર્વેશન કમિટી અને હેરિટેજ વિભાગ દ્વારા સાથે મળીને સક્રિય રીતે કામગીરી કરવામાં છે.
AMC દ્વારા આયોજિત હેરિટેજ વૉક વર્ષનાં 365 દિવસ ચાલુ રહે છે અને ખાસ કરીને વિદેશી પ્રવાસીઓમાં તેનો વિશાળ પ્રતિસાદ જોવા મળે છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી લઈને જામા મસ્જિદ સુધી ચાલતા આ વૉક રૂટને હવે વધુ સુંદર અને સંગઠિત બનાવવા વૉકવે અપગ્રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ પર આવેલી દુકાનોના ફસાડને પણ એકસમાન ડિઝાઇનમાં રિસ્ટોરેશન કરીને સમગ્ર રૂટને એકરૂપ આધુનિક-પરંપરાગત રૂપ આપવાનું આયોજન કર્યું છે.
હેરિટેજ વીક 2025 : નવી પહેલો અને આકર્ષક કાર્યક્રમો
આ વર્ષે 17 થી 23 નવેમ્બર દરમિયાન શહેરમાં અનેક વિશેષ કાર્યક્રમો યોજાયા છે, જેમાં આર્ટ વૉક, ફૂડ હેરિટેજ વૉક, સ્કેચિંગ સેશન્સ, ક્યુરેટેડ આર્કિટેક્ચરલ ટૂર્સ, હેરિટેજ આધારિત સ્કિટ્સ અને યુથ-લેડ ટ્રેઝર હન્ટ સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ‘Whispers of the Walls’ અને ‘Voices of Amdavad’ જેવા કાર્યક્રમો દ્વારા નાગરિકો તથા પ્રવાસીઓએ શહેરની હેરિટેજ ઓળખને નવી દ્રષ્ટિએ નિહાળવાનો અવસર પ્રાપ્ત કર્યો.
હેરિટેજને વધુ વ્યાપક રીતે ઓળખ મળે તે માટે શહેરમાં બ્રાન્ડિંગ અને માહિતી પ્રસાર પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ટુરિઝમને લાંબા ગાળે સંગઠિત રીતે વિકસાવે તે માટે વિશેષ સેલની રચના કરવામાં આવી છે, જે સસ્ટેનેબલ ટુરિઝમ મોડલ પર કામ કરશે. સાથે જ હૉસ્પિટલ્સ, સ્કૂલ્સ, જાહેર સંસ્થાઓ, વૉલ આર્ટ પ્રોજેક્ટ્સ તથા ખાનગી હવેલીઓમાં પણ રેસ્ટોરેશનનું કામ થાય છે.
અમદાવાદનો વારસો — વૈશ્વિક મંચ પર
દર વર્ષે 19 થી 25 નવેમ્બર દરમિયાન ઉજવાતું વર્લ્ડ હેરિટેજ વીક વિશ્વના વિવિધ વારસાની જાગૃતિ અને સંરક્ષણનો વૈશ્વિક ઉત્સવ છે. યુનેસ્કોની યાદીમાં સ્થાન મેળવેલા ધોળાવીરા, રાણકી વાવ, ચાંપાનેર અને અમદાવાદ — ગુજરાતના સાંસ્કૃતિક સમૃદ્ધિના પ્રતીક છે. ‘પૂર્વનું વેનિસ’ અને ‘ઈસ્ટનું મેનચેસ્ટર’ તરીકે ઓળખાતું અમદાવાદ માત્ર ભૂતકાળના વારસાને જ નહીં પરંતુ આધુનિક વિકાસ સાથે એની સુંદર સંકળાયેલા ઓળખને પણ જીવંત રાખે છે.
2025 સુધીમાં 5500થી વધુ હેરિટેજ વૉક થઇ
AMC દ્વારા અત્યાર સુધીમાં 5500થી વધુ હેરિટેજ વૉકનું આયોજન કરાયું છે, જે શહેરના સ્થાપત્ય, કલા, ધાર્મિક સ્થાન અને પોળોની જીવંત પરંપરાઓ અંગે વિશેષ માહિતી આપે છે. મૉર્નિંગ તથા નાઇટ હેરિટેજ વૉકના વિવિધ પેકેજો સાથે AMCની સત્તાવાર સાઇટ પર સમસ્ત વિગતો ઉપલબ્ધ છે. શહેરને તેનાં મૂળિયાઓ સાથે જોડી રાખવા આ હેરિટેજ વૉક શહેરની સંસ્કૃતિનો એક મહત્વનો ભાગ બન્યો છે.
