પંજાબના હત્યા કેસનો ફરાર આરોપી જામનગરમાંથી ઝડપાયો
(એજન્સી)જામનગર, ગુજરાત એટીએસ અને જામનગર એસઓજી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પંજાબ રાજ્યના હત્યાના એક ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ આરોપી જામનગરના મેઘપર વિસ્તારમાં હેલ્પર તરીકે છૂટક મજૂરી કરીને છૂપાયેલો હતો. ગત મહિને પંજાબના અમૃતસરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મખનસિંઘ મધોળુરામની હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ધરમવિરસિંઘ, કરમવિરસિંધ, બિક્રમજીતસિંઘ અને જોનની પંજાબ પોલીસે અટકાયત કર્યા બાદ, તેમણે અન્ય વોન્ટેડ આરોપી તરીકે લવપ્રિતસિંઘ હરજીતસિંઘનું નામ આપ્યું હતું.
વોન્ટેડ આરોપી લવપ્રિતસિંઘની માહિતી પંજાબ પોલીસે ગુજરાત એટીએસ સાથે શેર કરી હતી. ગુજરાત એટીએસના તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વોન્ટેડ આરોપી લવપ્રિતસિંઘ હત્યા બાદ જામનગર ખાતે આવેલ મેઘપર વિસ્તારની કંપનીઓમાં હેલ્પર તરીકે છૂટક મજૂરી કરવાના હેતુથી એક દિવસ પહેલા જ આવ્યો છે.
ગુજરાત એટીએસ દ્વારા તાત્કાલિક આ માહિતી અંગે જામનગર એસઓજીને જાણ કરવામાં આવી હતી. જામનગર એસઓજીએ ગુજરાત એટીએસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મેઘપર ખાતે આવેલી ચાલીમાં રહેતા લવપ્રિતસિંઘની ઓળખ કરી તેને દબોચી લીધો હતો.
