Western Times News

Gujarati News

રાષ્ટ્રનિર્માણમાં પારસીઓનું મહામૂલું યોગદાન રહ્યું છે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પારસી ધર્મગુરુઓનો સન્માન સમારંભ યોજાયો

* મેડમ ભિખાઈજી કામા, હોમી ભાભા, તાતા, વાડિયા, ગોદરેજ પરિવારો, ફિલ્ડ માર્શલ સામ માણેકશા વગેરે પારસીઓનું મોટું યોગદાન રહ્યું છે – સખાવતનું બીજું નામ પારસી છે- પારસીઓએ ભગવદ્ ગીતાનો સ્વધર્મનો સંદેશ આત્મસાત્ કર્યો છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં પારસી ધર્મગુરુઓનો સન્માન સમારંભ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીના હસ્તે પારસી ધર્મગુરુઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌને ગીતા જયંતીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે પોતાના ધર્મમાં નિષ્ઠાપૂર્વક જીવવું એ જ સૌથી મોટું કર્તવ્ય છે. પારસી સમાજના પૂર્વજોએ ભારતમાં આવીને ગીતાના ‘સ્વધર્મ’ના સંદેશને જીવ્યા છે અને કદી પોતાના ધર્મને છોડ્યો નથી. પારસીઓએ ભગવદ્ ગીતાનો સ્વધર્મનો સંદેશ આત્મસાત કર્યો છે. પોતાના ધર્મની રક્ષા માટે  ૧૩૦૦ વર્ષો પહેલા તેઓ ઈરાનથી સ્થળાંતરણ કરીને ગુજરાતમાં આવ્યા હતા અને સાકરની જેમ ભળી ગયા અને રાષ્ટ્રનિર્માણમાં પારસીઓનું મહામૂલું યોગદાન રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

જેમ ભગવાન શ્રી કૃષ્ણે આપેલું ગીતાનું જ્ઞાન સદીઓથી સચવાયું છે તેમ પવિત્ર આતશની રક્ષાથી ધર્મને ટકાવી રાખવાની ગાથા યુગો સુધી સચવાઈ રહે તે માટે નવસારીમાં ટાઈમ કેપ્યુલ મૂકીને ઇતિહાસને અમર રાખવાનું કાર્ય પારસી સમુદાય દ્વારા કરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને આ ટાઈમ કેપ્સ્યુલ ચરિતાર્થ કરશે એમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસની જે વિભાવના આપી છે એને પારસી સમુદાયે સાકાર કરી છે. સાથે જ, પારસી સમાજના વિસ્તાર માટે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં શરૂ કરવામાં આવેલી પીએમ જીઓ પારસી યોજનાનો પણ મુખ્યમંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો.

પારસી સમાજ ગુજરાતના સામાજિક જીવનમાં સમરસતાથી ભળી ગયો છે એમ જણાવીને  મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે જ્યાં જ્યાં આ સમુદાય વસ્યો ત્યાં સખાવતના બીજ રોપાયા છે. તેમના પૂર્વજોએ હંમેશા સમાજને કંઈક ને કંઈક આપ્યું છે.

એટલે જ કહેવાય છે કે સખાવતનું બીજું નામ પારસીઓ છે. અરીઝ ખંભાતા બનેવોલન્ટ ટ્રસ્ટની પારસી સમાજની દાનવીરતાની એ જ પરંપરાને આગળ વધારી રહ્યું છે. આ ટ્રસ્ટ હેલ્થકેર, એજ્યુકેશન અને સમાજ કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વંચિત સમુદાયના ઉત્થાનત માટે સમર્પિત રહ્યું છે. એચઆઇવી ગ્રસ્ત લોકો માટે પણ આ ટ્રસ્ટ કલ્યાણના અનેક  કામો કરે છે. તેમના માધ્યમથી દર વર્ષે હજારો લોકોના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ તકે જણાવ્યું હતું કે માઇનોરિટી હોવા છતાં પણ પારસી સમુદાયે પોતાના સંસ્કારો, મૂલ્યો અને કુનેહને પેઢી દર પેઢી આગળ વધાર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ આઝાદી કાળથી લઈને આજ સુધી દેશના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપનારા મેડમ ભિખાઈજી કામા, હોમી ભાભા, તાતા, વાડિયા, ગોદરેજ પરિવારો, ફિલ્ડ માર્શલ સામ માણેકશા, ફરદુનજી મર્જબાન, નાની પાલખીવાલા, સોલી સોરાબજી, ફલી નરીમાન, સહિતના પારસી અગ્રણીઓને આ તકે યાદ કર્યા હતા.

પારસી સમુદાયના ધાર્મિક અગ્રણી વડા દસ્તુરજી શ્રી ખુર્શીદ દસ્તુરે અરીઝ ખંભાતા બનેવોલન્ટ ટ્રસ્ટની કામગીરીની પ્રશંસા કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પારસી સહિત સૌ સમાજને સાથે લઈને સૌના વિકાસ માટે સતત પ્રયાસરત રહેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

અરીઝ ખંભાતા બનેવોલન્ટ ટ્રસ્ટ (AKBT)ના ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી પીરુઝ ખંભાતાએ સૌનું સ્વાગત કરીને જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકાસ વિથ વિરાસત’નો મંત્ર આપ્યો છે. પારસી પ્રિસ્ટ્સનું સન્માન આ મંત્રને સાકાર કરે છે. વિકાસમાં અગ્રેસર રહેતું ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આરોગ્ય, શિક્ષણ, જીવનશૈલી સહિતની દરેક બાબતે સતત પ્રગતિ કરી રહ્યું છે. વિકસિત ભારતના નિર્માણમાં પારસી સમાજ પોતાનું સક્રિય યોગદાન આપવા તત્પર છે, એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી ખંભાતાએ આ પ્રસંગે અરીઝ ખંભાતા બનેવોલન્ટ ટ્રસ્ટ (AKBT)ની કામગીરી અંગે જાણકારી આપીને આવનારા સમયમાં પારસી સમાજમાં ધાર્મિક શિક્ષણમાં આગળ વધતા યુવાનો માટે શરૂ કરવામાં આવનાર શિષ્યવૃતિની જાહેરાત કરી હતી.

 

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત પારસી સમાજની નવી પેઢી તેમની પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત થાય તેવા વિવિધ કાર્યક્રમો તથા નાટક, મ્યુઝિક અને કોમેડી જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં દેશભરમાંથી પારસી સમાજના લોકો ઉપસ્થિત રહેનાર છે.

 

આ પ્રસંગે વડા દસ્તુરજી શ્રી ટેમટન મિર્ઝા, વડા દસ્તુરજી શ્રી સાયરસ દસ્તુર, AKBTના ટ્રસ્ટી શ્રીમતી પરસીસ અરીઝ ખંભાત, શ્રીમતી બિનાઈસા પીરુઝ ખંભાતા તેમજ પારસી સમાજના અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.