Western Times News

Gujarati News

હવે ૬૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ વર્ષ ૨૦૨૫-૨૬થી સંત સુરદાસ યોજનાનો મળશે લાભ

દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય  -છેલ્લા પાંચ વર્ષમાં ૪ લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ રૂ. ૮૨૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ

બીપીએલ કાર્ડ અને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની જોગવાઈ દૂર કરાઈ: કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ પસંદગીનું ટુ-વ્હીલર ખરીદી શકશે

દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સંત સુરદાસ યોજના હેઠળ અત્યાર સુધી ૮૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરીકોને લાભ આપવામાં આવતો હતો. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬થી ૬૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સંતસુરદાસ યોજનામાં બી.પી.એલ કાર્ડ તથા ૦ થી ૧૭ વર્ષ ફરજીયાતની જોગવાઇ હતી તેને પણ વર્ષ ૨૦૨૪-૨૫માં દુર કરવામાં આવી હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સંવેદના દાખવીને ‘વિકલાંગ’ વ્યક્તિઓને  ‘દિવ્યાંગ’ જેવું સન્માનજનક નામ આપીને સમાજમાં તેમનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું છે. આ પરિવર્તન માત્ર એક શબ્દનું નથી, પરંતુ રાષ્ટ્રના દૃષ્ટિકોણનું પ્રતિબિંબ છે. વર્ષ ૨૦૧૬માં, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ-૨૦૧૬ પસાર કરીને દિવ્યાંગોના અધિકારોને કાયદાકીય સુરક્ષા પૂરી પાડી છે. આ કાયદાથી દિવ્યાંગોને માત્ર અધિકારો જ નહીં, પણ સમાનતા અને સુરક્ષાનું કવચ મળ્યું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારે દિવ્યાંગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા ૪ લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ રૂ. ૮૨૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે.

રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ ઓળખકાર્ડ, એસ.ટી. બસમાં વિનામુલ્યે મુસાફરી યોજના, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, સંત સુરદાસ યોજના, ઈન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમ, દિવ્યાંગ સાધન સહાય યોજના, મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યાન્વિત કરી છે. આ યોજનાઓ અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં ૪ લાખથી વધુ લાભાર્થીઓને રૂ.૮૨૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. દિવ્યાંગોને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળવાથી તેઓ વધુ સશકત બન્યા છે. દિવ્યાંગો આત્મસન્માનથી જીવતા થાય તેવો સરકારનો અભિગમ આ યોજનાઓ થકી સાર્થક થઈ રહ્યો છે.

દિવ્યાંગો માટેના વિવિધ કલ્યાણકારી નિર્ણયો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગોના સામાજિક, આર્થિક વિકાસ માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનો માટેની વિશેષ ઓળખ અને સુવિધા માટે ‘આઈ.ડી કાર્ડ’ આપવામાં આવ્યું છે. આ આઈ.ડી. કાર્ડના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિઓ એસ.ટી બસમાં મફતમાં મુસાફરી કરી શકે છે. તેમનો આ પાસ પણ હવેથી જીવનભર માન્ય રાખવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાની યોજનામાં દિવ્યાંગ વ્યક્તિ  બીપીએલ કાર્ડ હોવું જરૂરી હતું તે જોગવાઈને દુર કરીને હવેથી કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ ટુ-વ્હીલર મેળવી શકે છે.

દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી બસમાં વિનામુલ્યે મુસાફરી આપવાની યોજના હેઠળ પાર્કિન્સન, હિમોફિલીયા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમીયા, ક્રોનીક ન્યુરોલોજીકલ જેવી દિવ્યાંગતામાં તેમના સહાયકને ૧૦૦% વિનામુલ્યે મુસાફરીનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમીયા, ક્રોનીક ન્યુરોલોજીકલ સ્થિતી જેવી ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંજનને માસિક રૂ.૧૦૦૦ સહાય આપવામાં આવે છે. મોટોરાઇઝડ ટ્રાઇસીકલ અને જોયસ્ટીક વ્હીલચેરની નવી યોજના અમલી બનાવાઈ છે.

દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં રાજ્યની અંદર તેમજ રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી વિનામુલ્યે મુસાફરીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ પાસ હવે જીવનભર માન્ય રહેશે.

આ પહેલા દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર માટે વારંવાર મેડિકલ ચેકઅપ માટે જવું પડતું હતું અને હાડમારી વેઠવી પડતી હતી પણ હવે સંપૂર્ણ સંવેદનાથી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આજીવન માન્ય કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. દિવ્યાંગ વ્યક્તિઓને એસ.ટી બસમાં મુસાફરી માટે મળતો પાસ પણ હવેથી તેના દિવ્યાંગતાનું પ્રમાણપત્રના આધારે જીવનભર માન્ય રાખવામાં આવ્યો છે.

સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે દિવ્યાંગોને મુખ્ય ધારામાં આગળ ધપાવી તેમને  સમજવા અને તેઓના પ્રત્યેનો લોકોનો દ્રષ્ટિકોણ બદલવાના ઉમદા હેતુથી દર વર્ષે તા. ૩ ડિસેમ્બરને ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.