5 થી 9 ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે “સ્વદેશોત્સવ 2025″નું આયોજન
અમદાવાદ, ગુજરાત : અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે 5 થી 9 ડિસેમ્બર દરમિયાન “સ્વદેશોત્સવ 2025″નું આયોજન કરવામાં આવ્યું છે. સ્વદેશોત્સવ 2025 નું ભવ્ય ઉદ્ઘાટન તારીખ 5 ડિસેમ્બર 2025 ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવશે અને આ મહોત્સવ 9 ડિસેમ્બર 2025 સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન, અમદાવાદ ખાતે ચાલશે. આ મહોત્સવનું મુખ્ય ધ્યેય સ્વદેશી ઉત્પાદનોનું પ્રોત્સાહન, સ્થાનિક એમએસએમઈ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગોને રાષ્ટ્રીય મંચ પ્રદાન કરવુ અને આત્મનિર્ભર ભારતને ગતિ આપવી છે.
સ્વદેશોત્સવ 2025 ની તૈયારીઓનો પવિત્ર પ્રારંભ આજે પૂજ્ય સંતોના આશીર્વાદ અને તેમની હાજરીમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યો. 29 નવેમ્બર 2025, શનિવારે ભૂમિ પૂજન સાથે ડોમ અને ફેબ્રિકેશન કાર્યનું મંગલ આરંભ થયો. પરમ પૂજ્ય જગતગુરૂ શ્રી દિલીપ દેવા યાર્યજી મહારાજ (અધ્યક્ષ, અખિલ ભારતીય સંત સમિતિ – ગુજરાત, જગન્નાથ મંદિર કર્ણાવતી), પરમ પૂજ્ય મહામંડલેશ્વર વૈષ્ણવ સમ્રાટ મહંત શ્રી ખાખી અખાડા મોહનદાસજી મહારાજ (કાર્યકારી અધ્યક્ષ, અખિલ ભારતીય સંત સમિતિ-ગુજરાત, સાઈ મંદિર થલતેજ), પરમ પૂજ્ય ગૌ ભક્ત ચૈતન્ય શંભુ મહારાજ (વિરોયનનગર)
અને પરમ પૂજ્ય મહંત શ્રી દામોદર દાસજી (ચિતરંજન) (રામજી મંદિર કરકથલ, સંયુક્ત મહામૂળી અખિલ ભારતીય સંત સમિતિ-ગુજરાત) ની પવિત્ર ઉપસ્થિતિ અને આશીર્વાદ વચ્ચે કાર્યની શરૂઆત સંપન્ન થઈ. કાર્યક્રમના યજમાન તરીકે શ્રી નિર્મલભાઈ પટેલ (સહ સંયોજક – સ્વદેશી જાગરણ મંચ) અને શ્રી હાર્દિકભાઈ વાછાણી (સમન્વયક-સ્વાલંબી ભારત અભિયાન, કોષ પ્રમુખ-સ્વદેશી જાગરણ મંચ) દ્વારા સેવા નિભાવવામાં આવી. કાર્યક્રમમાં ડૉ. ભરતભાઈ પટેલ (માન. સંચાલક – ગુજરાત પ્રાંત), શ્રીમતી પ્રતિભાબેન જૈન (માન. મેયર-અમદાવાદ) અને માનનીય મનોહર લાલ અગ્રવાલ (પશ્ચિમ ક્ષેત્ર સંગઠક – સ્વદેશી જાગરણ મંચ) વિશેષ ઉપસ્થિત રહ્યા. સ્વદેશોત્સવ 2025માં સ્ટોલ બુક કરાવવા માટે અપૂર્વ જોશી (85111 12518)નો સંપર્ક કરવો.
આ ઉપરાંત, સ્વદેશોત્સવ માત્ર અર્થતંત્ર કે વેપાર સુધી સીમિત નથી, પણ સંસ્કૃતિ, પરંપરા અને આધુનિક ઉદ્યોગપ્રવૃત્તિને એક જ મંચ પર જોડનારો ભવ્ય મેળો છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, જ્ઞાન સત્રો, ઉદ્યોગ માર્ગદર્શન, પરિવાર માટેના વિશેષ ઝોન અને ખાદ્ય મહોત્સવ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આ ઈવેન્ટ સમગ્ર સમાજને જોડશે. આ મહોત્સવનું સરવાળો સ્વરૂપ ભારતની વિવિધતા, ઉદ્યોગશક્તિ અને સાંસ્કૃતિક ગૌરવને ઉજાગર કરવાનો છે.
સ્થાનિક MSME, ખેડૂતો, મહિલા ઉદ્યોગસાહસિકો અને યુવા સ્ટાર્ટઅપ્સને વિશાળ બજાર અને યોગ્ય ઓળખ મળી રહે તે માટે સ્વદેશોત્સવ એક શક્તિશાળી પ્લેટફોર્મ બનશે. આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહિત કરતી આ પહેલ નવી ઉદ્યોગભાવના, નવીનતા અને પ્રયોગો માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે. નવોદિત ઉદ્યોગો માટે માર્ગદર્શન, નેટવર્કિંગ અને વિકાસની તકો પણ આ મહોત્સવના કેન્દ્રમાં રહેશે.
સ્વદેશોત્સવ 2025નો મુખ્ય હેતુ ભારતના સ્વદેશી ઉત્પાદનોને રાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવાનો છે. સ્થાનિક ઉત્પાદન, હસ્તકલા, કૃષિ આધારિત વસ્તુઓ, હેન્ડમેેડ આર્ટ અને પરંપરાગત સર્જન શક્તિને મોટા મંચ પર રજૂ કરવાનું આ મહોત્સવનું મુખ્ય ધ્યેય છે. આ પહેલ દ્વારા સ્વદેશી ઉદ્યોગોને બળ મળવાથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત થવાનું છે અને લોકોમાં દેશી ઉત્પાદન પ્રત્યે વિશ્વાસ વધે તેવો ઉદ્દેશ્ય છે.
