રહેણાંક મકાન હોસ્ટેલ તરીકે ભાડે આપવા પર કોઈ GST લાગુ ન પડેઃ સુપ્રીમ કોર્ટ
બેંગલુરુમાં ૪૨ રૂમ ધરાવતી રહેણાંક મિલકતના સહ-માલિકે દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી હતી
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક ચુકાદામાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને વર્કિંગ પ્રોફેશનલ્સ માટેની હોસ્ટેલ તરીકે રહેણાંક મિલકતને ભાડે આપવામાં આવે તો આ ટ્રાન્ઝેક્શન પર જીએસટી લાગુ પડે નહીં. જો રહેણાંક મિલકતના માલિક અને ભાડે લેનારાના ટ્રાન્ઝેક્શન પર ૧૮ ટકા GST વસૂલવામાં આવે છે, તો તેનો બોજ આખરે વિદ્યાર્થીઓ અને વર્કિંગ પ્રોફેશનલ્સ પર પડે છે.
ન્યાયાધીશ જેબી પારડીવાલા અને કેવી વિશ્વનાથનની બનેલી ખંડપીઠે કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. કર્ણાટક હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે વિદ્યાર્થીઓ અને વર્કિગ પ્રોફેશનલ્સને માટે હોસ્ટેલ તરીકે ઉપયોગ કરતી કોઇ સંસ્થાને રહેણાંક જગ્યા ભાડે આપવામાં આવે તો તેને જીએસટીમાં મુક્તિ મળે છે.સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ કિસ્સામાં મિલકતનો રહેઠાણ તરીકેનો અંતિમ ઉપયોગ યથાવત્ રહે છે.
જો રહેણાંક મિલકતના માલિક અને ભાડે લેનારા મેસર્સ ડી ટ્વેલ્વ સ્પેસીસ વચ્ચેના આ ટ્રાન્ઝેક્શન પર ૧૮ ટકા GST વસૂલવામાં આવે છે, તો તેનો બોજ આખરે વિદ્યાર્થીઓ અને વર્કિંગ પ્રોફેશનલ્સ પર પડે છે. આનાથી એવી પરિસ્થિતિ સર્જાય છે કે જ્યાં રહેણાંક ઉપયોગ માટેના મકાનને જીએસટી મુક્તિ આપવા પાછળનો કાયદાકીય હેતુ માર્યાે જાય છે.
બેંગલુરુમાં ૪૨ રૂમ ધરાવતી રહેણાંક મિલકતના સહ-માલિકે દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી. આ અરજદારે અન્ય સહ-માલિકો સાથે મળીને ભાડે લેનાર એટલે કે મેસર્સ ડી ટ્વેલ્વ સ્પેસીસ સાથે ભાડા કરાર કર્યાે હતો. ભાડે લેનાર વ્યક્તિએ ઉપરોક્ત રહેણાંક મિલકત વિદ્યાર્થીઓ અને વર્કિંગ પ્રોફેશનલ્સને લાંબા ગાળાના રહેઠાણ માટે ત્રણ થી ૧૨ મહિનાના રોકાણ સમયગાળા માટે છાત્રાલય તરીકે ભાડે આપી હતી.
અરજદારે પૂરી પાડવામાં આવતી ભાડા સેવાઓ માટે ટેક્સમુક્તિ મેળવવાની તેની યોગ્યતા અંગે સ્પષ્ટતા માંગી હતી અને કર્ણાટકના એડવાન્સ રૂલિંગ ઓથોરિટી સમક્ષ અરજી દાખલ કરી હતી. ચુકાદામાં જણાવ્યું હતું કે રહેઠાણ તરીકે ઉપયોગ માટે રહેણાંક મિલકત ભાડે આપવાની બાબત એન્ટ્રી ૧૩ હેઠળ આવરી લેવામાં આવેલી નથી અને નોટિફિકેશન મુજબ ટેક્સમાફીનો લાભ મળે નહીં. આ પછી અરજદારે એડવાન્સ રુલિંગ માટે એપેલેટ ઓથોરિટી સમક્ષ અપીલ દાખલ કરી હતી.
