Western Times News

Gujarati News

અનંત અંબાણીને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે આગેવાની લેવા બદલ ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ એનાયત

પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર અનંત અંબાણી સૌથી યુવા અને પ્રથમ એશિયન

વોશિંગ્ટન, ડીસી, 8 ડિસેમ્બર 2025: અમેરિકન હ્યુમેન સોસાયટીની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ, અમેરિકાની સૌથી જૂની નેશનલ હ્યુમેન ઓર્ગેનાઇઝેશન અને પ્રાણી કલ્યાણ ક્ષેત્રે સૌથી મોટી પ્રમાણકર્તા સંસ્થાન એવી ગ્લોબલ હ્યુમેન સોસાયટીએ વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર ‘વનતારા’ના સ્થાપક શ્રી અનંત અંબાણીને પ્રાણી કલ્યાણ માટે ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ એનાયત કર્યો છે. Anant Ambani receiving the Global Humanitarian Award.

શ્રી અંબાણી આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર અત્યાર સુધીના સૌથી યુવાન અને પ્રથમ એશિયન છે. આ એવોર્ડ તેમને વન્યજીવન સંરક્ષણ અને પ્રાણી કલ્યાણ માટે પ્રતિબદ્ધ આગેવાનોને એક મંચ પર સાથે લાવનાર એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં એનાયત કરવામાં આવ્યો હતો.

પ્રાણી કલ્યાણ અને તેમના સંરક્ષણના ક્ષેત્રમાં વિશ્વભરમાં સૌથી અગ્રણી વૈશ્વિક સન્માનોમાંનો એક ગણાતો આ એવોર્ડ શ્રી અંબાણીના વાસ્તવિક પુરાવા આધારિત કલ્યાણ કાર્યક્રમો, વિજ્ઞાન આધારિત સંરક્ષણની પહેલો અને વિશ્વભરમાં વિલુપ્તીની આરે પહોંચેલી પ્રજાતિઓના રક્ષણ માટેના સતત પ્રયાસોમાં તેમની આગેવાનીને બિરદાવે છે. આ એવોર્ડ એવી વ્યક્તિઓને આપવામાં આવે છે જેમની આજીવન પ્રતિબદ્ધતાએ પ્રાણીઓ અને લોકો બંને માટે પરિવર્તનકારી વૈશ્વિક અસર ઊભી કરી છે.

ગ્લોબલ હ્યુમેન સોસાયટીએ શ્રી અંબાણીની વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાની સ્થાપનામાં તેમની દીર્ઘદૃષ્ટિવાળી આગેવાની માટે પસંદગી કરી છે, જેણે મોટા પાયે બચાવ, પુનર્વસન અને પ્રજાતિ સંરક્ષણની શક્યતાઓને ફરીથી આલેખી છે. પશુ કલ્યાણ માટેની તેમની કરુણા, ઉત્કટતા અને અનન્ય સમર્પણ તેમને ભૂતકાળના સન્માનિત મહાનુભાવોની વિશિષ્ટ શ્રેણીમાં સ્થાન આપે છે અને તેમનું કાર્ય માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંરક્ષણના ભવિષ્યને આકાર આપી રહ્યું છે.

ગ્લોબલ હ્યુમેન સોસાયટીના પ્રમુખ અને સીઇઓ ડો. રોબિન ગાન્ઝર્ટે જણાવ્યું હતું કે, વનતારાને “ગ્લોબલ હ્યુમેન સર્ટિફાઇડ™નું સન્માન મળવું એ સંભાળ લેવાના મામલે શ્રેષ્ઠતા માત્ર જ નહીં, પરંતુ દરેક પ્રાણીને ગૌરવ, ઉપચાર અને જીવવાની આશા આપવા પ્રત્યેનું ઊંડું સમર્પણ દર્શાવે છે. અને આ દૃષ્ટિકોણ માટે શ્રી અનંત અંબાણી કરતાં કોઈ મહાન ચેમ્પિયન નથી, જેમની નેતાગીરીએ આ કાર્યમાં કરુણા માટે એક નવો વૈશ્વિક માપદંડ સ્થાપિત કર્યો છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “વનતારા વિશ્વમાં ગમે ત્યાં પ્રાણી કલ્યાણ માટેની સૌથી અસાધારણ પ્રતિબદ્ધતા રજૂ કરે છે… તે માત્ર એક બચાવ કેન્દ્ર નથી, પરંતુ તે ઉપચારનું એક અભયારણ્ય છે. વનતારા પાછળની મહત્વાકાંક્ષા, વ્યાપ અને કોમળ હૃદયે આધુનિક પ્રાણી કલ્યાણનું કામ કેવું હોઈ શકે તેના માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે.”

વનતારાના સ્થાપક શ્રી અનંત અંબાણીએ જણાવ્યું હતું કે,  હું આ સન્માન માટે ગ્લોબલ હ્યુમેન સોસાયટીનો આભાર માનું છું. મારા માટે એક શાશ્વત સિદ્ધાંત — સર્વ ભૂતા હિતા એટલે કે, તમામ જીવોનું કલ્યાણ —ને મારું કાર્ય પુનઃ સમર્થન આપે છે. “પ્રાણીઓ આપણને સંતુલન, નમ્રતા અને વિશ્વાસ શીખવે છે. વનતારા થકી અમારો ઉદ્દેશ્ય છે કે સેવા ભાવનાથી માર્ગદર્શન મેળવીને, દરેક જીવને ગૌરવ, સંભાળ અને આશા પ્રદાન કરીએ. સંરક્ષણ આવતીકાલ માટે નથી; તે એક સહિયારો ધર્મ છે જેનું આપણે આજે જ પાલન કરવું જોઈએ.”

વર્ષોથી ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ માત્ર અમુક પસંદગીના વ્યક્તિઓને જ એનાયત કરવામાં આવ્યો છે – એવા દૂરંદેશી આગેવાનો જેમનું હૃદય, નેતૃત્વ અને દૃઢ નિશ્ચય પ્રાણી કલ્યાણ અને સંરક્ષણના પરિદૃશ્યને નવો આકાર આપવામાં મદદરૂપ થયા હોય. ભૂતકાળના સન્માનિત મહાનુભાવોમાં શર્લી મેકલેન, જ્હોન વેઇન અને બેટી વ્હાઇટ જેવી હોલીવુડની દંતકથા સમાન હસ્તીઓ, તેમજ અમેરિકી પ્રમુખો જ્હોન એફ. કેનેડી અને બિલ ક્લિન્ટન જેવા અગ્રણી રાજકીય નેતાઓ અને પ્રાણીઓ માટેના વૈશ્વિક ચેમ્પિયનોનો સમાવેશ થાય છે, જેમનો પ્રભાવ સરહદોથી પર રહ્યો છે.

વર્ષ 1877માં સ્થપાયેલી અમેરિકન હ્યુમેન સોસાયટી લગભગ 150 વર્ષથી પશુ કલ્યાણ માટે સમર્પિત છે અને હ્યુમેન મૂવમેન્ટમાં આવનારી લગભગ દરેક મોટી પ્રગતિમાં મોખરે રહી છે. 2010માં પ્રમુખ અને સીઇઓ તરીકે તેમની નિમણૂક થઈ ત્યારથી ડો. રોબિન ગાન્ઝર્ટે ઐતિહાસિક એવી બિન-લાભકારી સંસ્થામાં અભૂતપૂર્વ વૃદ્ધિ અને પરિવર્તનકારી ફેરફારોનું નેતૃત્વ કર્યું છે, જે પ્રાણી કલ્યાણ અને સંરક્ષણમાં ઉચ્ચ ધોરણો સ્થાપિત કરતા નવીન, જીવન બદલનારા અને જીવન બચાવનારા કાર્યક્રમો થકી વિશ્વભરના અબજો પ્રાણીઓના જીવનને સીધી અસર કરી રહ્યા છે.

ગ્લોબલ હ્યુમેન સર્ટિફાઇડ™ના કાર્યક્રમો વિશ્વભરમાં પ્રાણી કલ્યાણના સૌથી સઘન અને સાર્થક પ્રમાણપત્રોમાંના એક છે. ગ્લોબલ હ્યુમેન સર્ટિફાઇડ™ બનવા માટે વનતારાએ પ્રાણી કલ્યાણ, વર્તણૂક વિજ્ઞાન, પશુ ચિકિત્સા, પ્રાણીશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના વિશ્વસ્તરના અગ્રણી નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવેલું વ્યાપક અને સ્વતંત્ર ઓડિટ પૂર્ણ કર્યું હતું. આ પ્રક્રિયામાં પોષણ, પાણીની પહોંચ, સલામતી, સમૃદ્ધિ અને કર્મચારીઓની તાલીમથી લઈને પ્રજાતિ-વિશિષ્ટની જરૂરિયાતો, લાઇટિંગની ઉપલબ્ધતા, પર્યાવરણીય ગુણવત્તા, તબીબી સંભાળ અને કુદરતી વર્તન માટેની અનુકૂળતા સુધીના પશુ કલ્યાણ સૂચકાંકોની વિશાળ શ્રેણીની તપાસ કરવામાં આવે છે.

વનતારાને અનન્ય બનાવતી બાબત એ છે કે તે પ્રાણીના કુદરતી નિવાસસ્થાનની બહાર પૂરી પાડવામાં આવતી સહાયને મૂળ ઇકોસિસ્ટમની અંદર કરવામાં આવતા પ્રયત્નો સાથે સંકલિત કરે છે, જે વન્યજીવ સંરક્ષણ માટે લાંબા ગાળાનો, વિજ્ઞાન આધારિત માર્ગ તૈયાર કરે છે.

સંસ્થાનું કાર્ય વિલુપ્તિની આરે પહોંચેલી પ્રજાતિઓના રક્ષણ, ઘટતી જતી વસ્તીને પુનઃસ્થાપિત કરવા અને સંકટગ્રસ્ત તથા જંગલમાં લુપ્ત થઈ ગયેલા પ્રાણીઓને તેમના કુદરતી વાતાવરણમાં પુનઃપ્રવેશ કરાવવામાં મદદરૂપ વિજ્ઞાન આધારિત કાર્યક્રમોને આગળ વધારવા પર કેન્દ્રિત છે. સંશોધન, પુનઃસ્થાપન પહેલ અને સહયોગી સંરક્ષણ ભાગીદારી થકી વનતારાનો ઉદ્દેશ્ય વૈશ્વિક જૈવવિવિધતામાં યોગદાન આપવાનો અને આવનારી પેઢીઓ માટે પ્રજાતિઓના અસ્તિત્વને સુરક્ષિત કરવામાં મદદ કરવાનો છે.

આ કાર્યક્રમમાં વૈશ્વિક વન્યજીવ સંરક્ષણના અગ્રણી મહાનુભાવોએ ભાગ લીધો હતો, જેમાં આઇયુસીએન સ્પીસીઝ સર્વાઇવલ કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ ડો. જોન પોલ રોડ્રિગ્ઝ; કોલોસલ બાયોસાયન્સના ચીફ એનિમલ ઓફિસર મેટ જેમ્સ; ઝૂ નોક્સવિલેના પ્રમુખ અને સીઇઓ વિલિયમ સ્ટ્રીટ; કોલંબસ ઝૂના પ્રમુખ અને સીઇઓ થોમસ શ્મિડ; બ્રુકફિલ્ડ ઝૂ શિકાગોના પ્રમુખ અને સીઇઓ ડો. માઇકલ એડકેસન; અને ડોલ્ફિન કોમ્યુનિકેશન પ્રોજેક્ટના સ્થાપક અને નિર્દેશક કેથલીન ડુડઝિન્સ્કીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભારતના કેટલાક જાણીતા સંરક્ષણ નિષ્ણાતો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડો. નીલમ ખૈરે, ડો. વી.બી. પ્રકાશ અને ડો. કે.કે. સરમાનો સમાવેશ થાય છે, જેમનાં કાર્યોએ ભારતમાં વન્યજીવ સંશોધન અને સંરક્ષણને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.