મોહન ભાગવતને પ્રશ્નઃ મોદી બાદ દેશના પ્રધાનમંત્રી પદની કમાન કોને સોંપવામાં આવશે?
ચેન્નાઈમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા-પીએમ મોદીના ઉત્તરાધિકારી મુદ્દે ભાજપ અને મોદી પરસ્પર ચર્ચા કરશેઃ ભાગવત
(એજન્સી)નવી દિલ્હી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ સમારોહ અવસરે ચેન્નાઈમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મહત્વપૂર્ણ સવાલોના જવાબ આપ્યા. એક સવાલના જવાબમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી બાદ દેશના પ્રધાનમંત્રી પદની કમાન કોને સોંપવામાં આવશે તો ભાગવતે કહ્યું કે તેના પર ભાજપ અને મોદીજી પરસ્પર ચર્ચા કરશે અને કોઈ નિર્ણય લેશે.
ભાગવતે આ અવસરે તમિલનાડુમાં આરએસએસની મર્યાદિત ઉપસ્થિતિ ઉપર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે તમિલનાડુમાં ૧૦૦ ટકા રાષ્ટ્રવાદની ભાવના રહેલી છે પરંતુ કેટલીક કૃત્રિમ બાધાઓ આ ભાવનાને સંપૂર્ણ રીતે અભિવ્યક્તિને રોકી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે આ કૃત્રિમ ગતિરોધ વધુ સમય સુધી ટકશે નહીં અને આપણે તેને ખતમ કરવાની દિશામાં કામ કરવું પડશે.
ભાગવતે એ વાત ઉપર પણ ભાર મૂક્્યો કે તમિલનાડુની જનતા સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રહિત પ્રત્યે સમર્પિત રહી છે અને આ મૂલ્યોને વધુ મજબૂત કરવાની જરૂર છે. પોતાના સંબોધનમાં ભાગવતે ભાષાની વિવિધતા અને સાંસ્કૃતિક ગર્વ ઉપર પણ વિચાર વ્યક્ત કર્યા.
તેમણે તમિલનાડુના લોકોને આગ્રહ કર્યો કે તેઓ પોતાની માતૃભાષામાં વાતચીત કરે અને પોતાની પરંપરાગત જીવનશૈલીને સંભાળી રાખે. ભાગવતે એ પણ સવાલ ઉઠાવ્યો કે તમિલનાડુના લોકો તમિલમાં હસ્તાક્ષર કરવામાં કેમ ખચકાય છે. તેમણે ભારતીય ભાષાઓને સમાન મહત્વ આપતા કહ્યું કે તમામ ભારતીય ભાષાઓ આપણી પોતાની ભાષાઓ છે.
