અણધારી આફતમાં ગુજરાત સરકારે ખેડૂતોને કરેલા ટેકાથી રાજ્યનો ખેડૂત ફરી બેઠો થયો
રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૭.૫૨ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું પુષ્કળ વાવેતર; ગત વર્ષ કરતા ૩૭,૦૦૦ હેક્ટરનો વધારો થયો: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
રવિ સિઝનમાં આજદિન સુધીમાં ૫.૯૯ લાખ મે.ટન યુરિયા અને ૧.૭૫ લાખ મે.ટન DAP વિવિધ જિલ્લામાં સપ્લાય કરાયું.
• યુરિયાના સપ્લાયમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ૭૨,૪૫૦ મે. ટનનો વધારો.
• આગામી ૧૫ દિવસમાં વધુ ૧.૪૧ લાખ મે. ટન યુરિયા સપ્લાય કરવાનું રાજ્ય સરકારનું આયોજન.
• હાલની સ્થિતિએ રાજ્યમાં યુરિયા, DAP, NPK અને MOP મળીને કુલ ૩.૪૦ લાખ મે. ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં રવિ પાકોના વાવેતર અને રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી હતી. આ અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યના ખેડૂતો પર આવી પડેલી કમોસમી વરસાદની અણધારી આફતના સમયે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે તેમના પડખે અડીખમ ઊભા રહીને કુલ રૂ. ૧૧,૦૦૦ કરોડના કૃષિ રાહત પેકેજ તેમજ રૂ. ૧૫,૦૦૦ કરોડના મૂલ્યની ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. જેના પરિણામે સહાય મળતા આજે ગુજરાતનો ખમીરવંતો ખેડૂત ફરી એકવાર બેઠો થયો છે.
પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ખેડૂતોને થયેલા નુકસાન બાદ રવિ સિઝનમાં વાવેતર ઘટવા અંગે અનેક ચર્ચાઓ હતી, પરંતુ રાજ્ય સરકારે જાહેર કરેલી સહાયની મદદથી ખેડૂતોએ પુષ્કળ માત્રામાં રવિ પાકોનું વાવેતર કર્યું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ ૩૭.૧૫ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર નોંધાયું હતું, જેની સામે ચાલુ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૩૭.૫૨ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે, જે ગત વર્ષ કરતા ૩૭,૦૦૦ હેક્ટર વધુ છે.
તેમણે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ઘઉંનું ૧૦.૮૩ લાખ હેક્ટર, ચણાનું ૭.૧૦ લાખ હેક્ટર, તેલીબિયાં પાકનું ૨.૬૬ લાખ હેક્ટર, મસાલા પાકોનું ૩.૨૪ લાખ હેક્ટર અને બટાટા પાકનું કુલ ૧.૫૯ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બટાટા પાકના વાવેતરમાં ૨૧ ટકાની વૃદ્ધિ થઈ છે. જે દર્શાવે છે કે, રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓના પરિણામે ખેડૂતો વધુ વાવેતર કરવા માટે પ્રેરાયા છે.
મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ખાતરની ઉપલબ્ધતા અંગે જણાવ્યું હતું કે, રવિ સિઝન દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૫,૯૯,૪૦૫ મેટ્રિક ટન યુરિયા અને ૧,૭૫,૩૯૪ મેટ્રિક ટન DAP સપ્લાય કરવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ૭૨,૪૫૦ મેટ્રિક ટન યુરિયા વધુ સપ્લાય કરવામાં આવ્યું છે. વાવેતર સમયે DAP પ્રાથમિક જરૂરિયાત હોય છે અને રાજ્યમાં DAPના કુલ વિતરણના આંકડા પરથી ચોક્કસપણે કહી શકાય કે રાજ્યમાં રવિ પાકોનું પુષ્કળ વાવેતર થયું છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, માત્ર ડિસેમ્બર મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં જ કુલ ૧,૭૯,૧૨૫ મેટ્રિક ટન યુરિયા વિવિધ જિલ્લામાં સપ્લાય કરવામાં આવ્યું છે. ખેડૂતોની જરૂરિયાતને ધ્યાને લઈને આગામી ૧૫ દિવસમાં વધુ ૧,૪૧,૮૭૫ મેટ્રિક ટન યુરિયા સપ્લાય કરવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. રાજ્યમાં હાલની સ્થિતિએ યુરિયા, DAP, NPK અને MOP મળીને કુલ ૩,૪૦,૬૯૬ મેટ્રિક ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે.
