મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભગવો લહેરાયો
નગર પંચાયતની ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી ‘મહાયુતિ’ ગઠબંધને એકતરફી વિજય
મહાવિકાસ અઘાડીને આંચકો આપતા મતદારોએ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે.
(એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. રાજ્યમાં યોજાયેલી નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી ‘મહાયુતિ’ ગઠબંધને એકતરફી વિજય મેળવ્યો છે. કુલ ૨૯૯ બેઠકોમાંથી મહાયુતિએ ૨૧૩ બેઠકો પર કબજો જમાવીને વિરોધ પક્ષોના ગઢમાં ગાબડાં પાડ્યા છે.
આ પરિણામોમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને રાજ ઠાકરે માટે આ પરિણામો નિરાશાજનક રહ્યા છે. મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ લોકોનો મૂડ શું છે, તે આ સ્થાનિક ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે.
મહાવિકાસ અઘાડીને આંચકો આપતા મતદારોએ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે. ભાજપે વિદર્ભ અને મરાઠવાડા જેવા મહત્વના વિસ્તારોમાં ક્લીન સ્વીપ કરીને પોતાની તાકાત બતાવી દીધી છે.
રાજ્યની ૨૪૬ નગર પરિષદોના પરિણામોમાં ભાજપનું પ્રદર્શન ઐતિહાસિક રહ્યું છે. ૯૬ બેઠકો પર જીત અને લીડ સાથે ભાજપ સેન્ચુરીની નજીક પહોંચી ગયું છે. એકનાથ શિંદેની શિવસેનાએ ૪૪ બેઠકો જીતીને સાબિત કર્યું છે કે અસલી શિવસેના કોણ છે.
