અરવલ્લી પહાડીઓના રક્ષણ માટે ગુજરાત સરકાર હરહંમેશ કટિબદ્ધ: વન મંત્રી
રાજ્યના અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં આજ સુધી ક્યારેય ખનન કે વ્યાપારી પ્રવૃત્તિઓને મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં પણ આપવામાં નહીં આવે: વન અને પર્યાવરણ મંત્રીશ્રી
અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે સુપ્રીમ કોર્ટના આદેશોનું રાજ્ય સરકાર ચુસ્તપણે પાલન કરશે
‘અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ’ હેઠળ ચાલુ વર્ષે ૪,૪૨૬ હેક્ટરમાં ૮૬.૮૪ લાખ વૃક્ષોનું વાવેતર કરાયું
આગામી વર્ષે પણ ૪,૮૯૦ હેક્ટરમાં વૃક્ષારોપણ અને સંરક્ષણની કામગીરી કરવામાં આવશે
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ અરવલ્લી પહાડીઓના સંરક્ષણ અને ટકાઉ વિકાસ અંગે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યના વન વિસ્તારો અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ ક્ષેત્રોને બચાવવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલી અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં રાજ્ય સરકારે આજ સુધી ક્યારેય ખનનની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં પણ ખનનની પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં.
મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગુજરાત સરકાર અરવલ્લી પહાડીઓની નવી વ્યાખ્યા અને સંરક્ષણના તમામ પાસાઓનો અમલ કરી રહી છે. જે મુજબ, સ્થાનિક ભૂતળથી ૧૦૦ મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા તમામ ભૂ-આકારોને ‘પર્વત’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, જેથી કોઈ કાયદાકીય છટકબારી ન રહે. આ ઉપરાંત, ૧૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા બે અથવા વધુ પર્વતોની વચ્ચેના ૫૦૦ મીટર સુધીના તમામ વિસ્તારને પણ અરવલ્લી પર્વતમાળાનો જ ભાગ ગણવામાં આવશે.
મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સંરક્ષિત વિસ્તારો, ઇકો-સેન્સિટિવ ઝોન્સ, રિઝર્વ એરિયા, વેટલેન્ડ્સ અને કેમ્પા (CAMPA) વાવેતર સાઇટ્સ જેવા ‘કોર અને ઇનવાયલેટ’ ઝોન્સમાં ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસની સાથે પર્યાવરણનું જતન કરવાનો છે, જેથી ભાવિ પેઢીને સુરક્ષિત અને હરિયાળું ગુજરાત મળી શકે. અરવલ્લી પર્વતમાળા એ માત્ર પથ્થરોનો ઢગલો નથી, પરંતુ તે રણને આગળ વધતું અટકાવવા માટે કુદરતી અવરોધ તરીકે કામ કરે છે અને ભૂગર્ભ જળના રિચાર્જ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
મંત્રીશ્રીએ ‘અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ’નો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના કુલ ૩,૨૫,૫૧૧ હેક્ટર વન વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગ્રીન કવર વધારવા માટે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કુલ ૪,૪૨૬ હેક્ટર વિસ્તારમાં ૮૬.૮૪ લાખ સ્થાનિક પ્રજાતિના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, ૧૫૦ હેક્ટર વિસ્તારમાંથી ગાંડા બાવળ અને લેન્ટાના જેવી આક્રમક વનસ્પતિઓ દૂર કરવામાં આવી છે. આગામી વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન આ પ્રોજેક્ટ હેઠળ આશરે ૪,૮૯૦ હેક્ટર વિસ્તારમાં વૃક્ષારોપણ અને સંરક્ષણની કામગીરી કરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ અંતમાં ઉમેર્યું હતું.
