Western Times News

Gujarati News

ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં આપઘાતનું પ્રમાણ ઊંચુ

પ્રતિકાત્મક

૨૦૨૩માં ધો. ૧૦થી ડિપ્લોમા સુધીના ૩૮૭૬ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

(એજન્સી)ગાંધીનગર, સમગ્ર દેશમાં ગુજરાત પણ આપઘાતની સંખ્યામાં મોખરે છે. વર્ષ ૨૦૨૩ના જારી આંકડા મુજબ ગુજરાતમાં કુલ ૮૯૪૮ લોકોએ જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર દેશમાં થતી આત્મહત્યાઓમાં ગુજરાતમાં ૫.૨ ટકા લોકોએ આપઘાત કર્યાનું પ્રમાણ છે. ગુજરાતમાં આપઘાત કરનારામાં ૬૨૬૦ પુરુષ, ૨૬૮૫ મહિલા અને ૩ ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.

વિદ્યાર્થીઓમાં વિવિધ કક્ષાએ માનસિક તણાવ સહિતના કારણોથી આપઘાત નોંધાયા છે. ૨૦૨૩માં ધો. ૧૦થી ડિપ્લોમા સુધીના ૩૮૭૬ વિદ્યાર્થીની આત્મહત્યા નોંધાઇ છે. ગુજરાતમાં આપઘાત કરનારામાં વિદ્યાર્થીઓનું પ્રમાણ પણ નોંધપાત્ર છે. ૨૦૨૩માં ધોરણ ૧૦ સુધીના ૧૪૫૫ પુરુષ, ૬૦૮ મહિલા અને ૨ ટ્રાન્સજેન્ડર મળીને કુલ ૨૦૬૫એ આપઘાત કર્યાે હતો.

ધોરણ ૧૨ સુધીના ૧૩૦૫ પુરુષ, ૪૧૬ મહિલા મળીને ૧૭૨૧એ આત્મહત્યા કરી હતી. તે ઉપરાંત ડિપ્લોમા અને આઈઆઈટીના ૭૭ પુરુષ, ૧૩ મહિલા મળીને કુલ ૯૦એ આપઘાત કર્યાે હતો. જે અનેક નાના રાજ્યની સરખામણીમાં વધુ છે. જ્યારે પરીક્ષામાં નાપાસ થતા ૬૮ પુરુષ અને ૬૭ મહિલા મળીને કુલ ૧૩૫ વ્યક્તિએ આપઘાત કર્યાે હતો.

અમદાવાદમાં ૨૦૨૨માં કુલ ૯૨૮ અને ૨૦૨૩માં ૯૮૪ વ્યક્તિએ આપઘાત કર્યાે હતો. વિદ્યાર્થીઓ સહિત તમામ વયમાં પ્રેમ પ્રકરણ સંબંધિત આપઘાતનું પ્રમાણ પણ ઊંચું છે. જેમાં ૪૦૯ પુરુષ, ૨૬૯ સ્ત્રી અને ૨ ટ્રાન્સજેન્ડરે પણ આપઘાત કર્યા હતા. વિદ્યાર્થીઓ ભણતર પૂર્ણ કરે કે અડધેથી છોડી દે તે પછી તેમના માટે નોકરી કે ભણતરને અનુરૂપ વ્યવસાય મળતા નહીં હોવાના કારણે પણ આપઘાત નોંધાય છે.

૨૦૨૩ના વર્ષમાં ૧૯૦ પુરુષ અને ૮ મહિલા સહિત ૨૦૭એ બેરોજગારીને કારણે જીવન ટૂંકાવ્યું હતું. તેમાં અમદાવાદ શહેરમાં ૧૫ પુરુષનો સમાવેશ થતો હતો. વ્યવસાયિક કે કેરિયરને લગતી મુશ્કેલીને કારણે અમદાવાદમાં ૭૦ પુરુષ અને એક મહિલાએ આપઘાત કર્યાે હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.