સાબરકાંઠા જિલ્લાના મંદિરોમાં ચોરી કરતી ગેંગનો મુખ્ય સૂત્રધાર પકડાયો
(તસ્વીરઃ મગનજીત વણઝારા, હિંમતનગર) સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, ચિઠોડા અને વડાલી પંથકમાં આવેલ કેટલાક મંદિરોમાં ચોરીના ઈરાદે પ્રવેશતી ગેંગના મુખ્ય સૂત્રધારને સાબરકાંઠા એલસીબીએ હિંમતનગર બસ સ્ટેશન વિસ્તારમાંથી બાતમીને આધારે ઝડપી લઈ
તેની પાસેથી ચાંદીના છત્તર અને રોકડ મળી અંદાજે રૂ.ર૩,૯પ૦ના મુદ્દામાલ સાથે સોમવારે ઝડપી લીધા બાદ પુછપરછ કરતાં મંદિરમાં કરાયેલી ચોરીઓમાં અંબાજીના કુંભારીયામાં રહેતા અન્ય પાંચ શખ્સો સામેલ હોવાની કબુલાત કર્યા બાદ એલસીબીએ પકડાયેલા સૂત્રધારને પ્રાંતિજ પોલીસને હવાલે કર્યો હતો.
આ અંગે એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા તથા તેમના સ્ટાફના જણાવાયા મુજબ પ્રાંતિજ તાલુકાના સલાલ અને પોગલુ ગામના મંદિરોમાં તાજેતરમાં ચોરી થયાની ફરીયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ એલસીબીને એવી બાતમી મળી હતી કે
હિંમતનગર મુખ્ય બસ સ્ટેન્ડની ગલીમાં થઈ રેલ્વે સ્ટેશન જતા રોડ પર એક શખ્સની શંકાસ્પદ હિલચાલ હોવાની બાતમી મળ્યા બાદ એલસીબીએ તપાસ કરી આ શકમંદને ઝડપી લીધો હતો ત્યારબાદ પુછપરછ કરાતાં તેણે પોતાનું નામ રમેશ ઉર્ફે દિનેશ સરાફીયા નટ (રહે.કુંભારીયા, નટવાસ, અંબાજી પોલીસ સ્ટેશનની પાછળ) રહેતો હોવાની કબુલાત કરી હતી.
ત્યારબાદ પોલીસે રમેશ નટની અંગ ઝડતી લેતાં તેના પેન્ટના ખિસ્સામાંથી ચાંદીના ૧૦ નંગ છત્તર મળી આવ્યા હતા જે અંગે પુછપરછ કરવા છતાં રમેશ નટે સંતોષકારક જવાબ આપ્યો ન હતો ત્યારબાદ પોલીસે કડકાઈથી પુછપરછ કરતાં પકડાયેલા અન્ય પાંચ જણાને સાથે રાખી ચિઠોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચિતરીયા-પાલના ડુંગર પર મંદિરનું તાળુ તોડી દાનપેટીમાંથી રોકડ ચોરી હતી.
તેજ પ્રમાણે આ છ જણાએ વડાલીના થેરાસણા ગામના મંદિરમાંથી પણ દાનપેટી તોડી રોકડની ચોરી કરી હોવાની કબુલાત કર્યા બાદ એલસીબીએ ગેંગના મુખ્ય સૂત્રધાર પાસેથી રૂ.ર૦ હજારના ૧૦ ચાંદીના છત્તર, રૂ.૩૯૦૦ રોકડા અને બેટરી મળી અંદાજે રૂ.ર૩,૯પ૦નો મુદ્દામાલ કબ્જે લઈ આ સૂત્રધારની વધુ તપાસ માટે એલસીબીએ તેને પ્રાંતિજ પોલીસને હવાલે કર્યો હતો.
