ગુરુકૂળોમાં સંસ્કાર, શિક્ષણ, શિસ્ત અને સામાજિક જવાબદારીઓનું સંવર્ધન થાય છેઃ રાજ્યપાલ
રાજ્યપાલશ્રીના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ રાજકોટના ટ્રસ્ટી શ્રી મનુભાઈ પટોલિયા દ્વારા લિખિત ‘From Startups to Success’ પુસ્તકનું વિમોચન
રાજકોટ, ગાંધીનગર લોકભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ રાજકોટના ટ્રસ્ટી શ્રી મનુભાઈ પટોલિયા દ્વારા લિખિત ‘From Startups to Success’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.
આ તકે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, જીવનમાં સફળતા માત્ર આર્થિક પ્રગતિ સુધી જ સિમિત નથી પરંતુ સંસ્કાર, નૈતિકતા અને માનવીય મૂલ્યોનું જતન પણ એટલું જ જરૂરી છે. ગ્રામ્ય જીવનમાંથી આગળ વધીને વૈશ્વિક સ્તરે સફળતા પ્રાપ્ત કરનાર શ્રી મનુભાઈ પટોલિયાનું જીવન યુવા પેઢી માટે પ્રેરણાદાયક છે. તેમના 72 વર્ષના અનુભવોના આધારે લખાયેલ ‘ફ્રોમ સ્ટાર્ટઅપ ટુ સક્સેસ’ પુસ્તક સંઘર્ષ કરતા યુવાનોને સાચી દિશા અને માર્ગદર્શન આપશે.
રાજ્યપાલશ્રીને ગુરુકૂળ પરંપરાની પ્રશંસા કરતા જણાવ્યું કે, ગુરુકુળો દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિક્ષણ, શિસ્ત અને સામાજિક જવાબદારીઓનું સંવર્ધન થાય છે. જે આજના સમય માટે અંત્યત આવશ્યક છે. તેમણે પુસ્તકના લેખક તથા સમગ્ર મિશનમાં જોડાયેલા તમામ સહયોગીઓને અભિનંદન પાઠવી સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે સતત કાર્યરત રહેવા શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત રાજકોટ ગુરુકુળના મહંતશ્રી સ્વામી દેવપ્રસાદજીએ જણાવ્યું કે, રાજકોટ ગુરુકુળમાંથી અભ્યાસ કરી ચૂકેલા મનુભાઈ પટોલિયા જેવા અનેક વિદ્યાર્થીઓએ વૈશ્વિક સ્તરે ગુરુકૂળ સહિત દેશનું નામ રોશન કર્યુ છે.
ગુરુકૂળમાંથી ભણેલા વિદ્યાર્થીઓ સારા નાગરિક બનીને સમાજ અને દેશના વિકાસમાં સહભાગી બની રહ્યા છે. કાર્યક્રમ દરમ્યાન મનુભાઈ પટોલિયાએ પોતાના જીવનના પ્રસંગો વિશેની વાત કરી કરી હતી. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે, તેમના દ્વારા લિખિત પુસ્તક યુવા વર્ગને સતત આગળ વધવાની પ્રેરણા અચૂક પુરી પાડશે.
આ પ્રસંગે રાજકોટ ગુરુકુળના ટ્રસ્ટી શ્રી રાકેશભાઈ દૂધાતે સ્વાગત પ્રવચન કરી મનુભાઈના જીવનની પ્રેરણાત્મક બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. આ કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટના સંતો, અગ્રણીઓ તેમજ મનુભાઈ પટોલિયાના પરિવારજનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
