સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થવા શિવ ભક્તો વેરાવળ સ્ટેશન પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા
રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદથી ટ્રેનમાં પધારેલા યાત્રિકોનું ઢોલ નગારા, શરણાઈ, ભાતીગળ ગરબાથી સ્વાગત
પ્રભાસની ધરતી પર ઊઘડતી ઉષા એ હર હર મહાદેવ, જય સોમનાથના નાદથી સ્ટેશન પરિસર ગુંજી ઉઠ્યું
સોમનાથ, તા. ૮ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહેલ ભારતની આધ્યાત્મિક આસ્થાના પ્રતિક ‘સ્વાભિમાન પર્વ‘ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શિવભક્ત શ્રદ્ધાળુઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરા જેવા શહેરોથી સોમનાથ આવવા ઇચ્છતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પવિત્ર સોમનાથધામે આવનારા શ્રદ્ધાળુઓને સુલભ, સુરક્ષિત અને અનુકૂળ મુસાફરી મળી રહે તે માટે સરકાર દ્વારા આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે વેરાવળ રેલવે સ્ટેશન પર વિશેષ સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ શહેરોથી ટ્રેન મારફતે પહોંચેલા શિવભક્ત શ્રદ્ધાળુઓનું કુમકુમ તિલક કરી તથા પુષ્પગુચ્છ અર્પણ કરીને ઢોલ-નગારા, શરણાઈ અને ભાતીગળ ગરબા દ્વારા હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત કાર્યક્રમમાં ભક્તિભાવ, આત્મીયતા અને સોમનાથ પ્રત્યેની અડગ આસ્થાનો ભાવ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો.

૯ જાન્યુઆરીની ઊઘડતી ઉષાએ યાત્રાળુઓના ‘હર હર મહાદેવ – જય સોમનાથના નાદથી પ્રભાસ ભૂમિ પર વેરાવળ સ્ટેશન પરિસર ગુંજી ઉઠ્યું હતું. સ્ટેશથી મંદિર સુધી અને પરત ત્રણ સુધી જવા માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ વિશેષ બસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના થકી રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દર્શન કરી શકે છે.
વિશેષ ટ્રેન સુવિધાથી શિવભક્તોને સમયસર અને આરામદાયક મુસાફરી મળી રહી છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત શ્રદ્ધાળુઓ માટે આવાગમન, માર્ગદર્શન તથા વ્યવસ્થાપન સહિતની વિવિધ સુવિધાઓ સુચારુ રીતે અમલમાં મૂકવામાં આવી છે.
વેરાવળ રેલવે સ્ટેશનથી સોમનાથ મંદિર સુધી શ્રદ્ધાળુઓને સરળતા અને સગવડ મળે તે માટે સંકલિત આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે તાપી જિલ્લાના શ્રી અક્ષય પંચાલ એ જણાવ્યું કે અમને આપવામાં આવેલી સુવિધાના લીધે સારી રીતે દર્શન થઈ શકશે. આ અવસરમાં સહભાગી થવાનો આનંદ છે.
સુરતના રહેવાસી શ્રી હેલી બહેન રાઠોડ એ જણાવ્યું હતું કે અહીંયા ટ્રેનમાં યાત્રા દરમિયાન સારી સુવિધા મળી. સ્ટેશન થી મંદિર સુધી જવાની બસમાં વ્યસ્થા છે જેથી સરળતાથી દર્શન થઈ શકશે.
