સુરેન્દ્રનગર સબજેલમાં ૩ દિવસમાં બીજા કેદીનો આત્મહત્યાનો કર્યો પ્રયાસ
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરની સબજેલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. જેલમાં સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટનામાં છેલ્લા ૩ દિવસની અંદર બીજા એક કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કેદીની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરવામાં આવ્યો છે.
એક જ સપ્તાહમાં કેદીઓ દ્વારા સતત થઈ રહેલા આત્મહત્યાના પ્રયાસોને પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો સબજેલ પહોંચ્યો હતો અને જેલની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.નોંધનીય છે કે હજુ બે દિવસ અગાઉ જ શૈલેષ મકવાણા નામના અન્ય એક કેદીએ પણ જેલમાં શેમ્પુ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યાે હતો. સતત બની રહેલી આ ઘટનાઓએ જેલની આંતરિક સુરક્ષા પર અનેક સવાલો ઉભા કર્યા છે.
શૈલેષ મકવાણા લાંબા સમયથી સબજેલમાં સજા ભોગવી રહ્યો છે. તેણે કોઈ કારણોસર જેલમાં શેમ્પૂ મેળવી તેને પાણીમાં ભેળવી ગટગટાવી લીધું હતું. શેમ્પૂવાળું પાણી પીધાના થોડા જ સમયમાં કેદીની તબિયત લથડવા માંડી હતી અને તેને સતત ઉલટીઓ થવા લાગી હતી. જેલના અન્ય કેદીઓ અને ફરજ પરના સિપાઈઓને જાણ થતા તુરંત જ જેલર અને ઉચ્ચ અધિકારીઓને વાકેફ કરવામાં આવ્યા હતા.SS1MS
