આ કારણસર સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી આગામી છ માસ સુધી યોજવામાંથી મુક્તિ
અમદાવાદ, પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર દેશ સહિત રાજ્યમાં SIRની અગત્યની કામગીરી ચાલુ છે. જે અન્વયે રાજ્યના મહેસૂલી તંત્ર દ્વારા નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીનું આયોજન કરવુ મુશ્કેલ હોઈ આ તમામ પ્રકારની ચૂંટણી પ્રક્રિયા આજે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવામાં આવે છે.
આ અંગે વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી વાઘાણીએ કહ્યું હતું કે, ગુજરાત સહકારી મડળી અધિનિયમ-૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ મળેલ સત્તા અન્વયે અધિનિયમની કલમ-૭૪(ગ) હેઠળની તમામ પ્રકારની નિર્દિષ્ટ સહકારી મંડળીઓ કે જેની ચૂંટણીઓની પ્રક્રિયા ચાલુ છે અથવા ચૂંટણીઓની પ્રક્રિયા હાથ ધરવાની થાય છે,
તેઓને આ જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી આ અધિનિયમની કલમ-૭૪ (ગ) તથા કલમ-૧૪૫ (ક) થી (વ)ની જોગવાઇઓમાંથી મુક્તિ આપી, અધિનિયમની કલમ-૭૪(ગ) હેઠળની તમામ પ્રકારની નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પ્રક્રિયા આ જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવામાં આવે છે.
વધુમાં, જે નિર્દિષ્ટ સહકારી મડળીઓની ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક હુકમ/ચુકાદાના અનુસંધાને હાથ ધરાઇ હોય કે ઘરવાની રહેતી હોય તે સહકારી મંડળીઓને આ જાહેરનામામાંથી બાકાત રાખવામાં આવે છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
