સિંગતેલનો ડબ્બો ૨૯૦૦ રૂપિયાને પાર પહોંચ્યો: કપાસિયા ૨૩૮૫ રૂપિયા
પ્રતિકાત્મક
(એજન્સી)રાજકોટ, રાજકોટમાં ફરીથી ખૂલતા બજારે ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં રૂ.૧૦-૧૦નો વધારો ઝીંકાયો છે. છેલ્લાં ૩૦ દિવસમાં સીંગતેલમાં રૂ. ૧૮૦નો વધારો જોવા મળ્યો છે.
આ કારણે સિંગતેલનો ડબ્બો ૨૯૦૦ રૂપિયાને પાર પહોંચ્યો છે. તો કપાસિયા તેલનો ડબ્બો ૨૩૮૫ રૂપિયા થયો છે. સિંગતેલના સતત વધી રહેલા ભાવ ગૃહિણીઓને ટેન્શન કરાવી રહ્યાં છે. જાન્યુઆરી મહિનો આવે એટલે સિંગતેલના ભાવમાં વધારો થવાની શરૂઆત થઈ જાય છે. પરંતુ ક્્યારેય વિચાર્યું છે કે, જાન્યુઆરી મહિનામાં જ કેમ સિંગતેલના ભાવમાં ભડકો થાય છે. કપાસિયા કરતા સિંગતેલના ભાવમાં જ કેમ ભડકો થાય છે, આ પાછળ ચોક્કસ ગણિત છે.
સીંગતેલના ભાવમાં ફરી એકવાર મોટો વધારો નોંધાયો છે. સીંગતેલના ડબ્બે છેલ્લા એક સપ્તાહમાં સીધો ૨૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે સીંગતેલનો ૧૫ કિલોનો ડબ્બો હવે ૨૯૫૦ રૂપિયાના ભાવે પહોંચી ગયો છે.
મહત્વની વાત એ છે કે,યાર્ડમાં મગફળીની વિક્રમી અને મબલખ આવક હોવા છતાં પણ ભાવમાં ઘટાડો થવાને બદલે વધારો જોવા મળી રહ્યો છે. હોળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે તે પહેલા જ ખાદ્ય તેલમાં ભાવની હોળી થઈ છે. હોળી પહેલા જ તેલના ભાવમાં વધારા ઝીંકાયા છે. વેપારીઓના જણાવ્યા મુજબ, બજારમાં સારી ક્વોલિટીની મગફળીની અછત સર્જાઈ છે જ્યારે અન્ય તેલમાં પણ ભાવ વધી રહ્યો છે.
જેના કારણે લોકો એ તેલ નહીં, પરંતુ સિંગતેલ ખરીદી વધારે કરી રહ્યા છે. અને આ જ કારણે સીંગતેલના ભાવમાં વધારો થયો હોવાનું તેઓ કહી રહ્યા છે. તો તેલના વેપારી ભરતભાઈ ગોસ્વામીએ કહ્યું કે, એક તરફ હાલ વાર્ષિક ખરીદીની સિઝન ચાલી રહી છે અને બીજી તરફ શિયાળાની ઋતુમાં ચીકી સહિતના વિવિધ ઉત્પાદનમાંસારી ગુણવત્તાની મગફળીની માંગ વધતી જાય છે.
ચીક્કી બનાવવામાં ખાસ કરીને ઉત્તમ ક્વોલિટીની મગફળીનો ઉપયોગ થતો હોવાથી બજારમાં આવી મગફળીની અછત સર્જાઈ છે. જેની સીધી અસર સીંગતેલના ભાવ પર પડી રહી છે. વેપારીઓનું વધુમાં કહેવું છે કે, જો મગફળીની ગુણવત્તાવાળી આવકમાં સુધારો નહીં થાયતો આગામી દિવસોમાં સીંગતેલના ભાવમાં હજુ પણ વધારો નોંધાઈ શકે છે. આ પરિસ્થિતિમાં, ઘરેલુ ગ્રાહકો માટે રસોઈનો ખર્ચ વધવાની શક્્યતા છે.
