વસ્તી ગણતરીમાં જ્ઞાતિના પૂરાવા આપવા પડશે ? સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ટકોર
હાલમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા વસ્તી ગણતરી અધિનિયમ, ૧૯૫૮ અને તે હેઠળ ૧૯૯૦માં બનાવવામાં આવેલા નિયમો મુજબ ચાલે છે
નવી દિલ્હી,સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર અને ભારતના રજિસ્ટ્રાર જનરલ તથા વસ્તીગણતરી કમિશનરને એ સૂચન પર વિચાર કરવા જણાવ્યું છે, જેમાં ૨૦૨૭ની વસ્તીગણતરીમાં જાતિની ગણતરી માત્ર ‘સ્વ-ઘોષણા’ ને બદલે એક ચોક્કસ પ્રણાલીના આધારે કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. વસ્તીગણતરીમાં નાગરિકોની જાતિ સંબંધિત વિગતો નોંધવા, વર્ગીકૃત કરવા અને તેને ચકાસવા માટે અપનાવવામાં આવતી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતી જાહેર હિતની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતા સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ આપ્યો છે.
CJI સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની ખંડપીઠે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે, “આમાં એક સુસંગત મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, તેથી સક્ષમ સત્તાધિકારીઓએ વસ્તીગણતરી અધિનિયમ ૧૯૫૮ હેઠળ આ સૂચનો પર વિચાર કરવો જોઈએ.” ખંડપીઠે અરજદાર અને શિક્ષણવિદ આકાશ ગોયલને જણાવ્યું હતું કે, જાતિ સંબંધિત આંકડાઓની ઓળખ માટે અગાઉથી નક્કી કરેલો કોઈ ડેટા નથી.આ ઉપરાંત ખંડપીઠે વધુમાં જણાવ્યું કે, વસ્તી ગણતરીની પ્રક્રિયા વસ્તી ગણતરી અધિનિયમ, ૧૯૫૮ અને તે હેઠળ ૧૯૯૦માં બનાવવામાં આવેલા નિયમો મુજબ ચાલે છે.
આ કાયદો પ્રતિવાદી સત્તાધિકારીઓને વસ્તીગણતરી કરવાની વિગતો અને પદ્ધતિઓ નક્કી કરવાની સત્તા આપે છે. કોર્ટે વિશ્વાસ વ્યક્ત કર્યાે હતો કે, રજિસ્ટ્રાર જનરલ અને વસ્તીગણતરી કમિશનરની કચેરી કોઈપણ ભૂલ ટાળવા માટે નિષ્ણાતોની મદદથી એક મજબૂત વ્યવસ્થા વિકસાવી ચૂકી હશે.અરજદાર ગોયલ વતી વરિષ્ઠ એડવોકેટ મુક્તા ગુપ્તાએ દલીલ કરી હતી કે, નાગરિકોની જાતિની વિગતો નોંધવા અને ચકાસવા માટે ઉપયોગમાં લેવાતું પ્રશ્નાવલી પત્રક પારદર્શક હોવું જોઈએ અને તેને જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવું જોઈએ.
વર્ષ ૨૦૨૭ની વસ્તીગણતરી સત્તાવાર રીતે ભારતની ૧૬મી રાષ્ટ્રીય વસ્તીગણતરી છે. તેની મુખ્ય વિશેષતાઓ અનુસાર ૧૯૩૧ પછી આ પ્રથમ વખત હશે જ્યારે વ્યાપક સ્તરે જાતિગત ગણતરીનો સમાવેશ કરવામાં આવશે. આ દેશની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તીગણતરી હશે. સુપ્રીમ કોર્ટે આ તમામ સૂચનો પર વિચાર કરવાના આદેશ સાથે અરજીનો નિકાલ કર્યાે છે.ss1
