હાથીપગા રોગ નિર્મૂલનના લક્ષ્યને સિદ્ધ કરવાના ઉદ્દેશથી સામૂહિક દવા વિતરણ કાર્યક્રમના ત્રીજા રાઉન્ડનો પ્રારંભ
તા. ૧૦થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન નેત્રંગ, નાંદોદ, ડેડિયાપાડા અને વઘઇમાં સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ શરૂ થશે
અભિયાન અંતર્ગત ચાર તાલુકાની ૫ લાખ વસ્તીને આવરી લેવાશે
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશભરમાંથી હાથીપગા એટલે કે, ફાઈલેરિયા રોગ નિર્મૂલનનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તા. ૧૦થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન નેત્રંગ, નાંદોદ, ડેડિયાપાડા અને વઘઇમાં સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો ત્રીજો રાઉન્ડ હાથ ધરવામાં આવશે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કુલ ૧૭ જિલ્લા હાથીપગા રોગ માટે સંવેદનશીલ ગણાય છે. આ અભિયાન અંતર્ગત હાથીપગા રોગ માટેના સંવેદનશીલ નથી તેવા જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં રાત્રી બ્લડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પરીક્ષણ બાદ ભરૂચ જિલ્લાનો નેત્રંગ તાલુકો, નર્મદાનો નાંદોદ અને ડેડીયાપાડા અને ડાંગનો વઘઇ તાલુકો આમ ત્રણ જિલ્લાના કુલ ચાર તાલુકાના વિસ્તારોના લોહીના નમૂનામાં હાથીપગા રોગના કૃમિ જોવા મળ્યા હતા.
અભિયાન અંતર્ગત આ ચાર તાલુકાની કુલ ૫.૪૮ લાખથી વધુ વસ્તીને આવરી લઇને ફાઈલેરિયા રોગના કૃમિનો વ્યક્તિના શરીરમાંથી નાશ થાય તે માટેની દવા ડી.ઇ.સી. અને આલ્બેન્ડાઝોલ રૂબરૂમાં આપવામાં આવશે. જેમાં બે વર્ષથી નાના બાળકો, સગર્ભા મહિલા, અતિશય બીમાર વ્યક્તિ અને ધાત્રી માતા જેને પ્રસૂતિનો એક અઠવાડિયાનો સમય થયો હોય તે સિવાયની તમામ વસ્તીને આવરી લેવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન આ વિસ્તારોની તમામ ૭૫૯ આંગણવાડી, ૭૪૨ શાળાઓ, ૧૫ કોલેજો તેમજ તમામ ઘરોમાં આરોગ્ય કાર્યકરોની ૬૪૯ ટીમો દ્વારા તમામને રૂબરૂમાં દવા આપવામાં આવશે. આ ઉપરાંત બાકી રહી ગયેલા સભ્યોને આરોગ્ય કાર્યકર દ્વારા તા. ૧૩ અને ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન પુન: ઘરની રૂબરૂમાં મુલાકાત લઈ આ દવા આપવામાં આવશે. આ ઉપરાંત જાહેર સ્થળો પર ૬૧ બુથ શરૂ કરીને રૂબરૂમાં દવા આપવામાં આવશે. આ કામગીરી ચાલુ હોય ત્યારે તથા કામગીરી પૂર્ણ થાયા બાદ ત્રણ મેડીકલ કોલેજના પી.એસ.એમ. ડિપાર્ટમેન્ટ દ્વારા વ્યક્તિગત મૂલ્યાંકન હાથ ધરવામાં આવનાર છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આરોગ્યની તમામ ટીમો, આશા, આંગણવાડી વર્કર તથા શાળાના શિક્ષકોને યોગ્ય તાલીમ આપી સુસજ્જ કરવામાં આવ્યા છે. સંબંધિત વિસ્તારની જાહેર જનતાને આ અભિયાનમાં સક્રિય રીતે જોડાવા અને સહકાર આપવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
