Western Times News

Gujarati News

મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી, ૨૫ ઘર ફૂંકી માર્યા

તોફાની તત્વોએ રાઈફલથી ગોળીબાર પણ કર્યો, BSF-સીઆરપીએફ અને આસામ રાઈફલ્સના જવાનો તૈનાત

(એજન્સી)ઈમ્ફાલ, મણિપુરના ઉખરુલ જિલ્લાના લિટાનમાં તણાવ યથાવત છે. જોકે, ભારે સુરક્ષા તૈનાતી વચ્ચે હાલ માહોલ શાંત છે. પોલીસના જણાવ્યા અનુસાર, તાંગખુલ નાગા અને કુકી સમુદાયો વચ્ચે થયેલી હિંસક અથડામણો બાદ લિટાન અને તેની નજીકના મંગકોટ ગામમાં મોટા પાયે લોકોનું સ્થળાંતર ચાલુ છે. #ManipurViolence

રવિવારે મોડી રાત્રે લગભગ ૧૧ઃ૩૦ વાગ્યે લિટાન બજારમાં હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન તોફાનીઓએ સ્વયંસંચાલિત હથિયારો અને રાઇફલોથી ગોળીબાર પણ કર્યો હતો, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. હિંસામાં ૨૫ ઘર અને ચાર સરકારી ક્વાર્ટર બળીને ખાખ થઈ ગયા છે.

હિંસાની શરૂઆત ૭ ફેબ્રુઆરીની સાંજે લિટાન સરેઈખોંગમાં દારૂના નશામાં થયેલા ઝઘડાથી થઈ હતી, જેમાં તાંગખુલ નાગા સમુદાયના ર્સ્ટલિંગ નામના વ્યક્તિ સાથે કથિત રીતે મારપીટ થઈ હતી. બાદમાં તેને સારવાર માટે ઇમ્ફાલની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉખરુલના જિલ્લા મેજિસ્ટ્રેટે લિટાનમાં કર્ફ્યુ લગાવી દીધો છે.

તણાવ વધવાની આશંકા વચ્ચે લોકોએ કોઈ સંગઠિત પોલીસ સ્થળાંતર વિના પોતાના સ્તરે જ ઘર છોડવાનું શરૂ કરી દીધું હતું. અધિકારીઓએ જણાવ્યું કે લિટાન પોલીસ સ્ટેશને લોકોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરી અને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી. પ્રભાવિત વિસ્તારોમાં બીએસએફ, સીઆરપીએફ અને આસામ રાઇફલ્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે વધારાના સુરક્ષા દળો પણ મોકલવામાં આવ્યા છે.

ઇમ્ફાલથી લગભગ ૩૫ કિલોમીટર દૂર આવેલું લિટાનમાં તાંગખુલ નાગા અને કુકી બંને સમુદાયો રહે છે અને તે આસપાસના ગામો માટે વ્યાપારી કેન્દ્ર તરીકે કામ કરે છે. મિશ્ર વસ્તી અને બજાર તથા રહેણાંક વિસ્તારોની નિકટતાને કારણે સ્થિતિ સંવેદનશીલ બની રહી છે. પોલીસે જણાવ્યું કે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે. સુરક્ષા દળો તૈનાત છે અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

મણિપુરના ઉપ-મુખ્યમંત્રી લોસી ડિકો, જે એક નાગા નેતા પણ છે, રવિવારથી જ અશાંત વિસ્તારમાં પડાવ નાખી રહ્યા છે અને તણાવ ઘટાડવામાં મદદ કરવા માટે સ્થાનિક લોકો સાથે બેઠકો કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.