Western Times News

Gujarati News

અફવાઓ અને નકારાત્મકતામાંથી માનસિક શાંતિ મેળવતા શીખી: તારા સુતરિયા

મુંબઈ, તારા સુતારિયાએ બ્રેક અપની ચર્ચાઓ વચ્ચે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં માનસિક શાંતિના મહત્વ અને નકારાત્મકતાથી પોતાની જાતને કઈ રીતે બચાવવી તે અંગે ખુલાસો કર્યાે છે.

છેલ્લા કેટલાક સમયથી તારા કામ કરતાં વધુ પોતાનાં અંગત જીવનને લઈને ચર્ચામાં રહી છે. બોલિવૂડ એક્ટર વીર પહારિયા સાથેના તેનાં સંબંધોને લઈને ઘણી અટકળો અને ચર્ચાઓ વહેતી થઈ છે. બંનેએ ક્યારેય તેમના સંબંધનો સત્તાવાર સ્વીકાર કર્યાે નહોતો.

તેમ જ બ્રેકઅપના સમાચાર પણ માત્ર અફવાઓ જ ગણાવાયા છે.તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તારા પોતાના અંગત જીવનને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર સીધી વાત કરવાથી દૂર રહી, પરંતુ આસપાસની નકારાત્મકતા વચ્ચે માનસિક શાંતિ શોધવા અને પોતાની જાતને બચાવવા અંગેના તેમાં વિચારો વ્યક્ત કર્યા.ઇન્ટરવ્યુમાં તારાએ પોતાની કારકિર્દી, પબ્લિક ઇમેજ અને અંગત જીવન વચ્ચે સંતુલન સાધવાની વાત કરી. તેણે જણાવ્યું કે સમય સાથે તેણે “પોતાની શાંતિને કેવી રીતે બચાવી રાખવી તે શીખી લીધું છે.” તારાએ કહ્યું, “હું હંમેશાં માનું છું કે સફળતા આંતરિક હોય છે.

મનની શાંતિ, મને પ્રેમ કરતાં કેટલાંક લોકો, પોતાની જાતને ઓળખવી — એ જ મારું લક્ષ્ય રહ્યું છે. મેં અનેક વખત કામ કરતાં પણ મારા મૂલ્યોને પ્રાથમિકતા આપી છે. હું કોઈ ફિલ્મ છોડવાનું પસંદ કરી શકું, પરંતુ પોતાની જાતને ખોઈ શકું નહીં.”

તારાએ સ્વીકાર્યું કે એક્ટર હોવાને કારણે અંગત અને વ્યાવસાયિક જીવન અંગે અનેક પ્રકારની અટકળો ચાલતી રહે છે, પરંતુ તેણે ક્યારેય દરેક વાત પર સ્પષ્ટતા કરવાની જરૂરિયાત અનુભવી નથી. તેણે ઉમેર્યું, “જ્યાં સુધી મને હકિકત ખબર છે અને મારા અંગત લોકોને પણ ખબર છે, એટલું મારા માટે પૂરતું છે.”તારા અને વીરે ૨૦૨૫થી એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંને ઘણા પ્રસંગો અને કાર્યક્રમોમાં જાહેર સ્થળોએ સાથે જોવા મળતાં હતાં. તાજેતરમાં, એક કોન્સર્ટ દરમિયાન ગાયક એ.પી. ધિલ્લોન સાથે સ્ટેજ પર ડાન્સ કરવા બદલ તારાને ટ્રોલ કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર બનેલા મીમ્સ બાદ તારાએ આ ઘટનાને પોતાની વિરુદ્ધ ચાલી રહેલી પેઇડ પી.આર. કેમ્પેઇન ગણાવી હતી.તારાએ લખ્યું હતું, “ખોટી વાર્તાઓ, ચાલાક એડિટિંગ અને પેઇડ પી.આર. કેમ્પેઇન અમને હલાવી પણ શકશે નહીં. અંતે પ્રેમ અને સત્ય જ જીતે છે. એટલે મજાક તો અમારી મજાક કરવાવાળીની જ થઈ રહી છે.”

આ પોસ્ટ પર પ્રતિસાદ આપતાં એ.પી. ધિલ્લોએ “ક્વીન” લખ્યું હતું, જ્યારે વીર પહારિયાએ લાલ દિલ અને આગના ઇમોજી સાથે પ્રતિભાવ આપ્યો હતો. આ પછી થોડા જ દિવસોમાં તારા અને વીર વચ્ચે બ્રેકઅપ થયાની અફવાઓ ફેલાઈ હતી, પરંતુ બંનેમાંથી કોઈએ પણ હજી સુધી આ અંગે જાહેર રીતે કંઈ કહ્યું નથી.

કામની વાત કરીએ તો, તારા હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘ટાક્સિક’ની રિલીઝની રાહ જોઈ રહી છે. ગીતુ મોહનદાસે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં યશ લીડ રોલમાં છે. સાથે જ ફિલ્મમાં નયનતારા, હુમા કુરેશી, કિયારા અડવાણી અને રુક્મિણી વસંત પણ મહત્વનાં રોલમાં જોવા મળશે. આ કન્નડ-અંગ્રેજી બે ભાષામાં તૈયાર થયેલી ફિલ્મ ૧૯ માર્ચના રોજ થિએટર્સમાં રિલીઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.