Western Times News

Gujarati News

બેન્કિંગ સેકટરમાં મિસ-સેલિંગ રોકવા ઈન્સેન્ટિવની પ્રથા નાબૂદ કરોઃ રિઝર્વ બેન્ક

મુંબઈ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્કો માટે નવી માર્ગદર્શિકા ડ્રાફ્ટ કરી છે. બેંન્કિંગ સેકટરમાં મિસ-સેલિંગ રોકવા માટે ઈન્સેન્ટિવની પ્રથા નાબૂદ કરવા માટે નવા ડ્રાફ્ટમાં ભલામણ કરાઈ છે. બુધવારે જારી થયેલા નવા ડ્રાફ્ટમાં નાણાકીય ઉત્પાદનો અને સેવાઓની જાહેરખબર, માર્કેટિંગ દરમિયાન ગ્રાહકોની મંજૂરી લીધા પછી જ કોલ કરવા અને ઓફિસ અવર્સ દરમિયાન કોલ ન કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.

આરબીઆઈના જણાવ્યા મુજબ, મિસ-સેલિંગ પર અંકુશ માટે બેંકોની નીતિ અને કામગીરી મારફતે ઈન્સેન્ટિવની પ્રથા નાબૂદ થવી જોઈએ આ સાથે બેન્ક કર્મચારીઓ કે ડાયરેક્ટ સેલ્સ એજન્ટ્‌સને સેલ વધારવા માટે પ્રોત્સાહન મળવું જોઈએ નહીં. વેચાણ વધારવાના પ્રયાસોના કારણે દરેક બેંક વચ્ચે સ્પર્ધા વધે છે અને નિશ્ચિત દિવસો દરમિયાન લક્ષ્યાંક મુજબનું વેચાણ કરવાનું દબાણ વધે છે.

તેથી માર્કેટિંગ કે સેલ્સ સાથે સંકળાયેલા કર્મચારી-પ્રતિનિધિને સીધી કે આડકતરી રીતે ઈન્સેન્ટિવ મળવા જોઈએ નહીં. રિઝર્વ બેન્કની ડ્રાફ્ટ ગાઈડલાઈન્સમાં બેંકની પોતાની સેવા કે ઉત્પાદનની સાથે થર્ડ પાર્ટી સેવા કે ઉત્પાદનને જોડીને વેચવા બાબતે પણ મનાઈ ફરમાવાઈ છે. ગ્રાહકોને અલગ-અલગ કંપનીના વિકલ્પો આપીને યોગ્ય પસંદગીની તક આપવા માટે બેંકોને ભલામણ કરાઈ છે.

મિસ સેલિંગ થયું હોવાનું જણાય તો બેંકોએ ગ્રાહક દ્વારા ચૂકવાયેલી તમામ રકમ પરત કરવી પડશે અને આ સાથે ગ્રાહકને થયેલા નુકસાન બદલ વળતર પણ ચૂકવવું પડશે. બેન્કો દ્વારા ઉપયોગમાં લેવાતા યુઝર ઈન્ટરફેસમાં કોઈ પણ પ્રકારની ડાર્ક પેટર્નનો ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પણ કહેવાયું છે. રીઝર્વ બેંકે એવા સંખ્યાબંધ કેસ ટાંક્યા છે, જેને યોગ્ય તકેદારી રાખીને નિવારી શકાયા હોત.

ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલહોત્રાએ અગાઉ આ પ્રકારના નિયમનો લાગુ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના પગલે આ ડ્રાફ્ટ તૈયાર થયો છે. ડ્રાફ્ટ પર ૪ માર્ચ સુધીમાં નાગરિકો પાસેથી અભિપ્રાય માગવામાં આવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.