અંકલેશ્વરમાં ઘન કચરાના ગેરકાયદેસર નિકાલ કરવાનું કૌભાંડ
પ્રતિકાત્મક
અંકલેશ્વર પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેને સ્થળ મુલાકાત લીધી ઃ કોન્ટ્રાકટરનું પેમેન્ટ અટકાવી જીપીસીબી દ્વારા તપાસ શરૂ કરાઈ
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરમાં ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલના બદલે તેનો ગેરકાયદેસર નિકાલ કરવાનું મોટુ કૌભાંડ સામે આવ્યું છે.નગરપાલિકાએ આ મામલામાં જવાબદાર કોન્ટ્રાકટરનું પેમેન્ટ અટકાવ્યું છે જ્યારે જીપીસીબી દ્વારા પણ તપાસ શરૂ કરાય છે.
અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલને લઈ મોટું કૌભાંડ સામે આવ્યું છે.પ્રદૂષણ દૂર કરવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં જ ગંભીર બેદરકારી સામે આવી છે. સૈંકડો ટન લેગેસી વેસ્ટને ત્રણ સ્ટેજમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે ખાડીમાં ધરબી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. નગરપાલિકા પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે સ્થળ પર દરોડા પાડી આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
તપાસ દરમિયાન ખુલાસો થયો કે પ્રોજેક્ટના કોન્ટ્રાકટર દ્વારા જ જમીન અને પાણીના સ્ત્રોતને ગંભીર રીતે પ્રદૂષિત કરવામાં આવ્યા છે.શંકા ન જાય તે માટે Waste Segregation Site સુકાવીને અડીને રસ્તો કાઢી અવાવરું ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો. આ બેદરકારીને પગલે નગરપાલિકાએ કોન્ટ્રાકટરનું અંદાજિત ૯૫લાખ રૂપિયાનું પેમેન્ટ અટકાવી દીધું છે.
કૌભાંડ સામે આવ્યા બાદ કોન્ટ્રાકટરે લેખિત પત્ર આપી પોતાની ભૂલ કબૂલ કરી છે તેમજ કચરો હટાવવાની બાંયેધરી આપી બચાવનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ હરકતમાં આવ્યું છે.
સ્થળ પર ટીમ મોકલી તપાસ હાથ ધરવામાં આવી છે.જીપીસીબીના રિજયોનલ ઓફિસર એસ.વી.અગ્રવાતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તપાસ રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર કોન્ટ્રાકટર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
