અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોને આખરી વળતરની પ્રક્રિયા શરૂ થઈ
અમદાવાદ, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પીડિત પરિવારોને આખરી વળતર ચૂકવવાની પ્રક્રિયા એર ઈન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે. એર ઈન્ડિયાના ૧૭૧ પ્લેન ક્રેશના પીડિતો વળતર સ્વીકારવા માગતા હોય તો તેમણે ભવિષ્યમાં કોઈ ક્લેઈમ નહીં કરવાની ખાતરી આપવી પડશે.
વળતર સ્વીકારવા તૈયારી બતાવનારાઓ એરલાઈન્સ, ઈક્વિપમેન્ટ ઉત્પાદક અને સરકારી સંસ્થાઓ સામે આ દુર્ઘટના સંદર્ભે કોઈ ક્લેઈમ કરી શકશે નહીં. તાતા ગ્રુપ હસ્તકની એર ઈન્ડિયાએ વચગાળાનું રૂ.૨૫ લાખ વળતર ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરી છે. આખરી વળતરના કેસમાં રકમ રૂ.૨૫ લાખથી ઓછી હશે તો તેવા પરિવારોને અતિરિક્ત રૂ.૧૦ લાખનું વળતર ચૂકવવામાં આવશે.
આ ઉપરાંત દુર્ઘટનામાં સ્વજન ગુમાવનારા પરિવારોને રૂ. એક કરોડનું એક્સ ગ્રેશિયા બોનસ આપવમાં આવી રહ્યું છે. તાતા ગ્રૂપે બનાવેલા એઆઈ-૧૭૧ મેમેરિયલ એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા આ વળતર અપાઈ રહ્યું છે. ભારતના ઈતિહાસમાં થયેલી સૌથી વધુ ભીષણ હવાઈ હોનારતમાં અમદાવાદ પ્લેન ક્રેશનો સમાવેશ થાય છે.
૧૨ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદ એરપોર્ટથી ટેક ઓફ કર્યાની થોડી સેકન્ડમાં જ એર ઈન્ડિયાનું બોઈંગ ૭૮૭-૮ એર ક્રાફ્ટ તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં ૨૪૧ મુસાફરો સહિત ૨૬૦ લોકોનાં મોત થયા હતા. એર ઈન્ડિયાએ ગુરવારે જણાવ્યું હતું કે, પીડિત પરિવારોને ઓફર થઈ રહેલું આખરી વળતર ન્યાયી અને ઉચિત હોય તે સુનિશ્ચિત કરવામાં આવશે.SS1MS
