આંદામાન બેંક કૌભાંડમાં ઈડીએ રૂ.૨૦૦ કરોડની મિલકતો જપ્ત કરી
નવી દિલ્હી, કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ જણાવ્યું હતું કે, મની લોન્ડરિંગ મામલાની તપાસના ભાગરૂપે અંદામાન અને નિકોબાર ટાપુઓમાં રૂપિયા ૨૦૦ કરોડની કિંમતની હોટલો, રિસોટ્ર્સ અને જમીનના પ્લોટ જપ્ત કરવામાં આવ્યા છે.
આ મિલકતો અંદામાન અને નિકોબાર સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં આચરવામાં આવેલા રૂપિયા ૫૦૦ કરોડના કૌભાંડમાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભેગી કરવામાં આવી હતી. ઈડીએ ઉમેર્યું હતું કે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કામચલાઉ આદેશ જારી કર્યા પછી રૂ. ૨૦૦.૦૨ કરોડની કુલ ૫૧ સ્થાવર મિલકતો ટાંચમાં લેવામાં આવી છે.
આ મિલકતો આરોપીઓ, તેમના પરિવારના સભ્યો, નજીકના સાથીદારો અને તેમના દ્વારા સંચાલિત કંપનીઓ તથા પેઢીઓના નામે છે. ઈડીએ વધુમાં જણાવ્યું કે, ટાંચમાં લેવામાં આવેલી મિલકતો વિવિધ જમીન માલિકો અને ખેડૂતો પાસેથી ડમી ડાયરેક્ટરો અને શેલ કંપનીઓના નામે પાવર ઓફ એટર્ની દ્વારા ખરીદવામાં આવી હતી, જેથી મૂળ કિંમત છુપાવી શકાય.SS1MS
