Western Times News

Gujarati News

વિદ્યાર્થીઓ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ: શિક્ષણ મંત્રી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગર આગામી સમયમાં યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાના આયોજન અંગે  શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

Gandhinagar, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનારી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાઓ અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર – ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, રાજ્યના વિદ્યાર્થીઓ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેની તમામ વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ની પરીક્ષા ૯ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે તા. ૨૬ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ, ૨૦૨૬ સુધી યોજાશે. આ જ સમયગાળા દરમિયાન ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ ઉપરાંત ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧.૧૯ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા તા. ૨૬ ફેબ્રુઆરીથી ૧૬ માર્ચ, ૨૦૨૬ દરમિયાન યોજાશે. વધુમાં, રાજ્યના ૧.૩૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ ગુજકેટ-૨૦૨૬ની પરીક્ષા પણ આપશે. આમ, કુલ મળી ૧૫.૨૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ રાજ્યના તમામ જિલ્લાઓમાં સમીક્ષા કરીને કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા શિક્ષણાધિકારી સહિત તમામની કામગીરી બિરદાવતા જણાવ્યું હતું કે, ગુજરાતના બાળકો ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પરીક્ષા પે ચર્ચાકાર્યક્રમમાં જણાવ્યું હતું કે, “પરીક્ષા એક ઉત્સવ છે”, જ્યાં વિદ્યાર્થીને માનસિક ચિંતા ન રહે અને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તે જરૂરી છે.

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, તમામ અધિકારીશ્રીઓએ ભૂતકાળમાં બનેલા બનાવોનો અભ્યાસ કરવો જોઈએ અને આ વર્ષે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવી જોઈએ. વર્ષ-૨૦૨૫માં યોજાયેલી ધોરણ ૧૦ અને ૧૨ના પરીક્ષાના પરિણામોના પૃથ્થકરણના આધારે વિશેષ તકેદારી રાખવા પાત્ર જિલ્લાઓ તેમજ કેન્દ્રોમાં વધુમાં વધુ ચોકસાઈપૂર્વક તૈયારીઓ રાખવી જોઈએ.

પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને ગભરાહટ અથવા અન્ય કોઈ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ ન પડે તે માટે પરીક્ષા કેન્દ્રો પર ફર્સ્ટ એઇડટીમ સુનિશ્ચિત કરવા પણ મંત્રીશ્રીએ સૂચના આપી હતી. રાજ્યના સંવેદનશીલ જિલ્લાઓ અને કેન્દ્રો પર મેટલ ડિટેક્ટર મશીન મૂકવા પણ તેમણે તાકીદ કરી હતી, જેથી કોઈ વિદ્યાર્થી ભૂલથી મોબાઈલ કે સ્માર્ટવોચ જેવા ઉપકરણો લઈને આવે તો તેની જાણકારી મળી શકે.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પરીક્ષા સમિતિને તકેદારી રાખવાના કેન્દ્રો, જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓને દેખરેખની ફરજ સોંપવા, કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા, જાહેરનામાની પ્રસિદ્ધિ, પ્રશ્નપત્રના સ્ટ્રોંગરૂમ ખાતે હથિયારધારી પોલીસ બંદોબસ્ત, એસ.ટી. બસોના રૂટની ગોઠવણી તેમજ વીજ પુરવઠો સાતત્યપૂર્ણ રીતે મળી રહે તે અંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી રીવાબા જાડેજાએ વિગતવાર માહિતી મેળવી અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આ પરીક્ષા ૧૪૬ ઝોન, ,૭૦૧ કેન્દ્રો, ,૫૬૫ બિલ્ડિંગ તેમજ ૫૩,૭૬૪ બ્લોકમાં યોજાશે. આ ઉપરાંત ગુજકેટ-૨૦૨૬ની પરીક્ષા ૩૪ ઝોન, ૩૪ કેન્દ્રો, ૬૫૮ બિલ્ડિંગ અને ૬,૮૦૩ બ્લોકમાં યોજાશે.

આ બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણે, ડી.જી.પી. (લો એન્ડ ઓર્ડર) શ્રી દીપક મેઘાણી, GSHSEBના અધ્યક્ષ શ્રી એમ. એ. પંડ્યા, સચિવ શ્રી આર.આર. વ્યાસ, નાયબ અધ્યક્ષ શ્રી એ. બી. રાદડિયા સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના તમામ કલેક્ટરશ્રીઓ અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.