મણિપુર અને ગુજરાતનો સંબંધ શ્રી કૃષ્ણ-રુક્મિણીના સમયથી અતૂટ છે: રાજ્યપાલ
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ‘રાષ્ટ્રીય એકતા યાત્રા’ના મણિપુરના પ્રતિનિધિઓ સાથે આત્મીય સંવાદ કર્યો
ભારતની સાંસ્કૃતિક વિવિધતા દેશની સૌથી મોટી શક્તિ: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ અસમ રાઈફલ્સ દ્વારા સિવિક એક્શન પ્રોગ્રામ અંતર્ગત આયોજિત ‘રાષ્ટ્રીય એકતા યાત્રા‘ હેઠળ મણિપુરથી આવેલા નાગરિક સમાજ સંગઠનો (CSOs) અને યુવાનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. આ અવસરે રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક સમન્વય અને ઉત્તર-પૂર્વ તથા પશ્ચિમ ભારત વચ્ચેના પરસ્પર સંબંધોને મજબૂત બનાવવા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો.
રાજ્યપાલશ્રીએ મણિપુરના પ્રતિનિધિઓનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, મણિપુરનું નૈસર્ગિક સૌદર્ય અને તેની સંસ્કૃતિ જ્યારે ગુજરાતની ઉદ્યમશીલતા સાથે મળે છે, ત્યારે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના દર્શન થાય છે. તેમણે કહ્યું કે, આ માત્ર એક પ્રવાસ નથી, પરંતુ દિલથી દિલને જોડનારુ મિશન છે. મણિપુર અને ગુજરાતનો સંબંધ સદીઓ જૂનો છે, જે શ્રી કૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગ સાથે જોડાયેલો છે.
રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના વિઝન “એક ભારત-શ્રેષ્ઠ ભારત”નો ઉલ્લેખ કરતા આ યાત્રાને સાર્થક ગણાવી હતી. કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલશ્રીએ ભારતની સાંસ્કૃતિક વિવિધતાને દેશની સૌથી મોટી શક્તિ ગણાવી શિક્ષણ, કૌશલ્ય વિકાસ તથા વ્યસનમુક્ત જીવનને પ્રગતિનો આધારસ્તંભ ગણાવ્યો હતો. રાજ્યપાલશ્રીએ કહ્યું કે, શાંતિ અને પરસ્પર પ્રેમ જ વિકાસનો પાયો છે.
આ પ્રસંગે મણિપુરથી આવેલા પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં તેમણે અનુભવેલી મહેમાનગતિની ભારે પ્રશંસા કરી હતી. તેમજ આ પ્રવાસ તેમના માટે સદાય યાદગાર બની રહેશે તેમ તેઓએ જણાવ્યું હતુ. કાર્યક્રમના અંતે રાજ્યપાલશ્રીએ તમામ પ્રતિનિધિઓને શુભેચ્છા પાઠવી હતી અને આ યાત્રા મણિપુર અને ગુજરાત વચ્ચે મજબૂત સંબંધોની નવી કેડીઓ કંડારશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
