ભાવનગરમાં 50 ઇ-બસોનું લોકાર્પણ: રાજ્યના આઠ શહેરોમાં 750 બસો ચલાવવાનું આયોજન
ભાવનગર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આસામથી વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેરમાં 50 ઇ-બસોનું ફ્લેગ-ઓફ કરાવી લોકાર્પણ કર્યું હતું. ઇલેક્ટ્રિક બસોના ઉપયોગથી સ્વચ્છ, વિશ્વસનીય અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે પીએમ ઇ-બસ સેવા એક મહત્વપૂર્ણ પહેલ છે.
આગામી સમયમાં રાજ્યના આઠ શહેરોમાં આ યોજના અંતર્ગત 750 બસો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર ગુજરાતનું પ્રથમ શહેર છે જ્યાં આ યોજના અંતર્ગત 50 બસોની ભેટ આપવામાં આવી છે.
આ બસો દિવ્યાંગો માટે અનુકૂળ અને એરકન્ડિશન્ડ સુવિધા ઉપરાંત સીસીટીવી કેમેરાથી સજ્જ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઇલેક્ટ્રિક બસો માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નિકલ સુવિધાઓ વિકસિત કરવામાં ગુજરાત અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યું છે, ત્યારે આ પહેલ પર્યાવરણને અનુકૂળ સુવિધાયુક્ત પરિવહનની દિશામાં મહત્વપૂર્ણ બની રહેશે.
