Western Times News

Gujarati News

‘રાષ્ટ્રપ્રથમ’ જીવન જીવવાની દિશા, માત્ર રાજકીય વિચાર નહીં : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અને ઉદય માહુરકર લિખિત ‘મારી રાષ્ટ્રપ્રથમની કલ્પના’  પુસ્તકનું વિમોચન

રાષ્ટ્ર નિર્માણમાં દરેક નાગરિકની સક્રિય ભાગીદારી અનિવાર્ય: મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતે નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અને ઉદય માહુરકર લિખિત ‘મારી રાષ્ટ્રપ્રથમની કલ્પના’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભારત દેશના નાગરિકોને પોતાની સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યો પ્રત્યે ગૌરવની ભાવના હોવી જરૂરી છે. તેમણે વિદેશ પ્રવાસ દરમિયાન માતૃભાષામાં વ્યક્ત થયેલા ગૌરવના અનુભવનો ઉલ્લેખ કરતા કહ્યું કે પોતાની ભાષા અને સંસ્કૃતિ જ રાષ્ટ્રીય ઓળખનું મૂળ છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ‘રાષ્ટ્રપ્રથમ’ની વિચારધારા માત્ર રાજકીય સૂત્ર નથી, પરંતુ જીવન જીવવાની દિશા છે. જીવમાત્રમાં પરમાત્માનો અંશ વસે છે, તેથી વ્યક્તિએ પોતાના જીવનમાં સકારાત્મક મૂલ્યો અપનાવી રાષ્ટ્ર નિર્માણમાં રચનાત્મક ભાગીદારી નોંધાવવી જોઈએ. સમાજ અને રાષ્ટ્રના હિતને પ્રાથમિકતા આપતી વિચારસરણી દ્વારા જ સમૃદ્ધ અને સશક્ત ભારતનું નિર્માણ શક્ય બને છે, એમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના વિઝનનો ઉલ્લેખ કરી દેશની એકતા, અખંડિતતા અને સાંસ્કૃતિક વૈવિધ્યમાં એકરૂપતા ભારતની સૌથી મોટી શક્તિ હોવાનું જણાવ્યું હતું. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્ર સાથે સર્વાંગી વિકાસ માટે દરેક નાગરિકની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના દૃઢ નેતૃત્વ હેઠળ આયોજિત “સોમનાથ સ્વાભિમાન યાત્રા” દેશપ્રેમ અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતિક બની છે. સોમનાથનો ઇતિહાસ માત્ર ધાર્મિક આસ્થા નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્વાભિમાનનું પ્રતિક છે.

આ કાર્યક્રમમાં પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. પુસ્તકના લેખક ઉદય માહુરકરે પુસ્તકના વિષયવસ્તુ અંગે માહિતી આપી ‘રાષ્ટ્રપ્રથમ’ની ભાવનાને જીવનમાં આત્મસાત કરવાની અપીલ કરી હતી.

આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ પંડ્યા, પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્યશ્રીઓ, સાહિત્યકારો તથા સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.