Western Times News

Gujarati News

ભગવાન શિવ સર્પોને આભૂષણના રૂપમાં કેમ ધારણ કરે છે?

AI Image

ભગવાન વિષ્ણુનો હાર વૈજયંતીમાલા છે.

ભગવાન શિવના ગળામાં લપેટાયેલ નાગનું નામ વાસુકિ છે. વાસુકી નાગના પિતા ઋષિ કશ્યપ અને માતા કદ્રુ હતાં. વાસુકી નાગના મોટા ભાઇનું નામ શેષ અને અન્ય ભાઇઓ તક્ષક-પિંગલા અને કર્કોટક હતું.

સંસારમાં જે કંઇ અનાકર્ષક અને અસુંદર છે તથા જેનો સંસારે તિરસ્કાર કર્યો છે તેને ભગવાન શિવે અપનાવ્યા છે.જેમકે કાલકૂટ વિષ,ધતૂરો,શ્મશાન,રાખ અને સાપ.સાપોની પરોપકારતાથી ભગવાન શિવે તેને ગળાનો હાર બનાવ્યો છે.શિવ શબ્દ બે અક્ષરોથી બન્યો છેઃશિ+વ. શિ-નો અર્થ છે મંગળ અને વ-નો અર્થ છે દાતા એટલે જે મંગલદાતા છે તે શિવ છે જે સંસારનું દરેક રીતે કલ્યાણ અને મંગલ કરનાર છે.

સમુદ્ર-મંથનથી સર્વપ્રથમ હળાહળ ઝેર નીકળે છે જેની જ્વાળાઓથી બચવા ભગવાન શિવને વિનંતી કરવામાં આવે છે.ભગવાન શિવ વિચારે છે કે સૃષ્ટિમાં,માનવ સમુદાયમાં આ વિષ રહેશે તો પ્રાણીઓ અશાંત થઇને બળવા લાગશે તેથી તેમને સુરક્ષિત રાખવા માટે એવી જગ્યા હોવી જોઇએ કે જેનાથી કોઇને નુકશાન ના પહોંચે.આ હળાહળ ઝેર પેટમાં જાય તો મૃત્યુ નિશ્ચિત છે અને બહાર રહી જાય તો સમગ્ર સૃષ્ટિ ભસ્મ થઇ જાય એટલે સૌથી સુરક્ષિત જગ્યા મારો કંઠપ્રદેશ છે

જેથી રામ-નામનો આશ્રય લઇને મહાકાળે મહાવિષને પોતાની હથેળીમાં લઇ આચમન કરી લીધું પરંતુ વિષને મુખમાં લેતાં જ ભગવાન શિવને પોતાના ઉદરસ્થ ચરાચર વિશ્વનું ધ્યાન આવે છે અને તેમને વિષને પોતાના ગળામાં જ રોકી લીધું જેનાથી તેમનો કંઠ વાદળી થઇ ગયો આમ સંસારના કલ્યાણના માટે ભગવાન શિવે વિષપાન કર્યું.

વિષ્ણુનો હાર વૈજયંતીમાલા છે. બીજા પણ જાત જાતના હાર ભગવાન વિષ્ણુ પહેરે છે પણ મહાદેવને તો સર્પનો હાર છે. કાલકૂટ વિષ ભરેલો નાગ તેમના ગળામાં ફેણ ચઢાવીને બેઠો છે. સર્પ સાક્ષાત્ કાળનું પ્રતિક છે.સર્પ એટલે મૃત્યુ.સૌ તેનાથી દૂર ભાગે પણ મહાદેવે તે જ મૃત્યુને પોતાના ગળાનું આભૂષણ બનાવ્યું છે કારણ કે મૃત્યુનું મુખ્ય સ્થાન પણ ગળું છે.

તે ગળા ઉપર જ પેલા કાળને બેસાડી ભગવાન શંકર ભયભીત થવાને બદલે વધુ આનંદિત થયા છે.મૃત્યુની બેપરવાહી અથવા મૃત્યુને હરખભેર આમંત્રણ કોઈ વૈરાગ્યવીર જ આપી શકે,તેના માટે મૃત્યુ મૃત્યુ નથી રહેતું પણ આભૂષણ બની જાય છે તે બતાવવા કંઠમાં નાગ ધારણ કર્યો છે. મૃત્યુથી ભાગી છૂટનારને મૃત્યુ ભાગવા દેતું નથી ઊલટાનું વહેલું પકડે છે.આ જ કારણે મહાદેવને મૃત્યુંજય કહે છે.હવે મૃત્યુ તેમની નજીક નથી આવતું.

ભગવાન શિવની જેમ જ તેમના આભૂષણ સાપ પણ સંસારના માટે કલ્યાણકારી છે.સાપ અને નાગ દેવકોટિના પ્રાણી છે.તેમની સૃષ્ટિ અમોને હાનિ પહોંચાડવા માટે નહી પરંતુ અમારા લાભ માટે પરમાત્માએ કરી છે.

સાપ વાયુનો આહાર કરે છે અને પર્યાવરણમાં વ્યાપ્ત વિષાક્ત ગૈસોનું પાન કરે છે અને પોતે ઝેરી બની જાય છે.આમ તેઓ વિષૈલા ગૈસોથી સંસારની રક્ષા કરે છે તથા પર્યાવરણને સંતુલિત રાખે છે.અમારા ખેતરોમાં કૃષિનાશક જીવોથી સાપ અને નાગ રક્ષા કરે છે.

સંસારના કલ્યાણના માટે ભગવાન શિવ વિષ પી નિલકંઠ બન્યા અને સાપ અને નાગ વાતાવરણના ઝેરી ર્ગસ પીવે છે.સાપોના સંસાર ઉપરના આ ઉપકારને જોઇને ભગવાન શિવે તેને પોતાના આભૂષણ બનાવ્યા છે.ભગવાન શિવને મૃત્યુજ્ય કહેવામાં આવે છે કેમકે તે કાળના પણ કાળ છે.કાલકૂળ વિષ,નાગની જનોઇ અને ગળામાં સર્પમાળા ધારણ કરીને ભગવાન શિવે પોતાની મૃત્યુંજ્યતા પ્રગટ કરી છે.

વિશ્વના હિતના માટે હળાહળ ઝેરને પી લેવું તથા વિશ્વના તમામ કોલાહલથી ૫ર રહીને મૃદંગ શંખ ઘંટ ડમરૂંના નિનાદમાં મગ્ન રહેવું એટલે કે આત્મસ્થ રહેવું,બ્રહ્મમાં રત રહેવું એ જ શિવની સમાધિ છે.કંઠમાં કાળો નાગ ચિર સમાધિ-ભાવનું પ્રતિક છે.

ભગવાન શિવના ગળામાં લપેટાયેલ નાગનું નામ વાસુકિ છે. વાસુકી નાગના પિતા ઋષિ કશ્યપ અને માતા કદ્રુ હતાં. વાસુકી નાગના મોટા ભાઇનું નામ શેષ અને અન્ય ભાઇઓ તક્ષક-પિંગલા અને કર્કોટક હતું. શેષનાગ ભગવાન વિષ્ણુના સેવક અને વાસુકી ભગવાન શિવના સેવક બન્યા હતા.વાસુકીની ભક્તિથી પ્રસન્ન થઇને ભગવાન શિવે તેને પોતાના ગણોમાં સામેલ કર્યા હતા.વાસુકીનું કૈલાશ પર્વત પાસે જ રાજ્ય હતું.કહેવાય છે કે વાસુકીને નાગલોકના રાજા માનવામાં આવે છે.

ભગવાન શિવ ગળામાં સર્પોની માળા પહેરે છે પરંતુ ક્યારેય પોતાની શાંતિનો ત્યાગ કરતા નથી. સર્પોની માળા ધારણ કરવી એટલે અનેક મુશ્કેલીઓને પોતાના ઉપર લઇ લેવી.જીવન છે એટલે મુશ્કેલીઓ તો આવશે.જે ર્હંસીને તેને સહન કરી લે છે તે શિવ બની જાય છે અને જે સહન કરી શકતા નથી તે શબ બની જાય છે.મુશ્કેલીઓનું સમાધાન તેનાથી મુખ ફેરવી લેવામાં નથી પરંતુ ર્હંસીને તેનો સામનો કરવામાં છે.

વિપરીત સમયમાં આપ ચહેરા ઉપર હાસ્ય લાવવાની હિંમત રાખી શકો તો આપની આંતરીક શાંતિને કોઇ ભંગ નહી કરી શકે.ભગવાન શિવના ગળામાંની સર્પોની માળા અમોને સંદેશ આપે છે કે મુશ્કેલીઓ કોઇને છોડતી નથી બસ..આપ હિંમત અને હાસ્યને ક્યારેય ના છોડશો.ગળામાં વિષમતાના વિષધર હોવા છતાં પણ આનંદ અને પ્રસન્નતાથી જીવન જીવવાનું ભગવાન મહાદેવ પાસેથી શિખવાનું છે. આલેખનઃ વિનોદભાઇ માછી નિરંકારી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.