૩૦ દેશોના મંત્રીઓ સાથે મળીને મીડિયા ક્ષેત્રે AIના દુરુપયોગને રોકવા માટે મંથન ચાલી રહ્યું છે.
ભારતમાં એઆઈ ક્રાંતિઃ અશ્વિની વૈષ્ણવે કરી એઆઈના યુપીઆઈની જાહેરાત
એઆઈના ફાયદાની સાથે કેન્દ્રીય મંત્રીએ તેના સંભવિત જોખમો વિશે પણ ચેતવણી આપી
(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે ‘ઈન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ’માં ભારતની વધતી ટેકનોલોજીકલ શક્તિનો સ્વીકાર કરતા એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ભારત હવે વિશ્વના રોકાણકારો માટે હોટસ્પોટ બની રહ્યું છે અને આગામી બે વર્ષમાં દેશના એઆઈ અને ડીપ-ટેક ઇકોસિસ્ટમમાં ૨૦૦ અબજ ડોલર (આશરે રૂ. ૧૬.૬ લાખ કરોડ) થી વધુનું રોકાણ આવવાની શક્યતા છે.
સમિટ દરમિયાન મંત્રીએ ‘એઆઈનું યુપીઆઈ’ બનાવવાની યોજના જાહેર કરી હતી. જે રીતે યુપીઆઈએ પેમેન્ટ સિસ્ટમમાં ક્રાંતિ લાવી છે, તેવી જ રીતે આ એક ‘ઓપન પ્લેટફોર્મ’ વ્યવસ્થા હશે. આ પ્લેટફોર્મ પર વિવિધ કંપનીઓ અને ડેવલપર્સ સુરક્ષિત અને ભરોસાપાત્ર એઆઈ સોલ્યુશન્સ તૈયાર કરી શકશે.
નીવીડિયાના સીઈઓ જેન્સન હુઆંગની ગેરહાજરી અંગે અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી હતી કે, “હુઆંગે વ્યક્તિગત રીતે સંપર્ક કરીને અનિવાર્ય કારણોસર હાજર ન રહી શકવા બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને તેમના સ્થાને એક વરિષ્ઠ અધિકારીને મોકલ્યા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે દ્ગvૈઙ્ઘૈટ્ઠ ભારતીય કંપનીઓ સાથે એઆઈ ક્ષેત્રે મોટા પાયે રોકાણ કરવા માટે ગંભીરતાથી કામ કરી રહી છે.
ભારત માત્ર એપ્લિકેશન પર જ નહીં, પરંતુ એઆઈના તમામ પાસાઓ પર ધ્યાન આપી રહ્યું છે. મંત્રીએ એઆઈ સ્ટેકના ૫ મુખ્ય લેયર્સ પર ભાર મૂક્યો હતો. જેમાં ઈન્ફ્રાસ્ટ્રકચર, કમ્પ્યુટર, ડેટા, મોડલ અને અપ્લિકેશનનો સમાવેશ થાય છે. અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું હતું કે,”વૈશ્વિક સીઈઓ હવે ભારતીય ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતા જોઈને ઉત્સાહિત છે.”
એઆઈના ફાયદાની સાથે કેન્દ્રીય મંત્રીએ તેના સંભવિત જોખમો વિશે પણ ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે, ૩૦ દેશોના મંત્રીઓ સાથે મળીને મીડિયા ક્ષેત્રે એઆઈના દુરુપયોગને રોકવા માટે મંથન ચાલી રહ્યું છે.
