ડોન ૩નો વિવાદ ઉકેલવા હવે આમિર ખાન મેદાનમાં
મુંબઈ, રનવીર સિંહ અને ફરહાન અખ્તરના પ્રોડક્શન હાઉસ વચ્ચેનો વિવાદ મોટું સ્વરૂપ ધારણ કરતો અટકે તે હેતુથી હવે આ વિવાદમાં આમિર ખાને પણ ઝંપલાવ્યું છે.
ગુરુવારે મુંબઈમાં આમિર ખાનના નિવાસસ્થાનેથી કેટલાક પ્રોડ્યુસર્સ નીકળતા જોવા મળ્યા બાદ હવે એક સુત્રએ બેઠક પાછળનાં સાચાં કારણનો ખુલાસો કર્યાે છે.મુંબઈમાં આમિર ખાનના નિવાસસ્થાનેથી કેટલાક જાણીતા પ્રોડ્યુસર્સ અને સ્ટુડિયો હેડ્સ નીકળતાં જોવા મળ્યાં હતાં, જેના કારણે આ અચાનક બેઠક અંગે ઘણી અટકળો શરૂ થઈ હતી.
ઇન્ડસ્ટ્રીના મોટા નામોની આ અણધારી મુલાકાતથી મોટા સ્તરના કોલબરેશન અથવા કંઈક ખાસ પ્રોજેક્ટની ચર્ચાને વેગ મળ્યો હતો.આમિરના ઘરેથી નીકળતા જોવા મળેલા પ્રોડ્યુસર્સમાં ધર્મા પ્રોડક્શન તરફથી કરણ જોહર, નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટ તરફથી સાજિદ નડિયાદવાલા , બાલાજી ટેલીફિલ્મ્સની જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર એકતા કપૂર, એક્સેલ એન્ટરટેઇનમેન્ટના પાર્ટનર્સ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની, ટાઈગર બેબી ફિલ્મ્સમાંથી ઝોયા અખ્તર, તેમજ ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસના એમડી અને સીઇઓ પુનિત ગોયંકાનો સમાવેશ થાય છે.હાલ સુધી બેઠકના એજન્ડા અંગે તમામ પક્ષો મૌન રહ્યાં હતાં.
પરંતુ આ બેઠક અંગે સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, આ બેઠકમાંની એક ચર્ચા એક મોટા સ્ટાર અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટ વચ્ચે ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે હતી.
રનવીર સિંહ અને ફરહાન અખ્તરની એક્સેલ એન્ટરટેઇનમેન્ટ વચ્ચેના મતભેદો છેલ્લા થોડાં દિવસોમાં સતત સામે આવતા રહ્યા છે, તેથી માનવામાં આવે છે કે આમિરના ઘરે થયેલી બેઠક આ મુદ્દાને ઉકેલવા માટે હતી.સુત્ર જણાવે છે, “આમિર રનવીર સિંહ અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટ વચ્ચેનો વિવાદ ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યો છે. બંને વચ્ચે કેટલાક પ્રશ્નો એવા હતા, જેના પર નિરાકરણ લાવવું જરૂરી છે, જે ચર્ચાનો વિષય બન્યા, આ બેઠકો એ જ મુદ્દા માટે છે.”
