Western Times News

Gujarati News

રાજ્યના હાઇ-વે પર આવેલા પેટ્રોલ પંપ સમયના કોઇ પણ બાધ વગર ખૂલ્લા રાખી શકાશે

  • આવશ્યક ચીજવસ્તુઓ–આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલી દુકાનોને ઓડ-ઇવન જોગવાઇઓ લાગુ પડશે નહિ-દુકાનો નિયમીત ચાલુ રાખી શકાશે
  • -જરૂરિયાત જણાયે ર૪ કલાક કાર્યરત કરી શકાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં જનજીવન પૂન: સામાન્ય કરવા તેમજ ઊદ્યોગ, વેપાર, ખાનગી ઓફિસીસ, નાની-મોટી દુકાનોમાં આર્થિક ગતિવિધિઓ પૂન: શરૂ થાય તે માટે લોકડાઉન-4 માં કેટલીક શરતો સાથે છૂટછાટો આપી છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, આના પરિણામે રાજ્યમાં એક નવો માહોલ ઊભો થયો છે. એટલું જ નહિ, મોટા પ્રમાણમાં લોકો પણ સોશિયલ ડિસ્ટન્સીંગ નિયમોનું અનુપાલન, ફરજિયાત માસ્ક ઉપયોગ અને કોરોના સંક્રમણથી પોતે અને અન્યોને બચાવવાની સારી આદતો સાથે રોજિંદા જીવનમાં ગોઠવાવા લાગ્યા છે.

તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે લોકડાઉન-4 સંદર્ભે આર્થિક પ્રવૃત્તિઓને રાજ્યમાં ઉત્તેજન મળે તથા લોકોને આજિવીકા-આવક મળતી થાય સાથોસાથ સ્વચ્છતા-સ્વસ્થતા અને આરોગ્ય જળવાઇ રહે તે માટે માર્ગદર્શિકા-ગાઇડલાઇન બહાર પાડેલી છે.

રાજ્ય સરકારે આ ગાઇડલાઇન્સ સાથોસાથ રાજ્યમાં થાળે પડતી જતી પરિસ્થિતીને અનુલક્ષીને નિર્ણયો કરવાનો વ્યૂહ પણ અપનાવેલો છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ હેતુસર એવો નિર્ણય કર્યો છે કે રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી કે આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલી દુકાનોને ઓડ-ઇવનની જોગવાઇઓ લાગુ પડશે નહિ.

મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આ અંગેની વિસ્તૃત સમજ આપતાં જણાવ્યું કે, આવશ્યક સેવાઓ કે આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી દુકાનો નિયમીત રીતે દરરોજ ચાલુ રાખી શકાશે, એટલે કે એક દિવસ ચાલુ એક દિવસ બંધ રાખવાની રહેશે નહિં. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના હાઇવે પર આવેલા પેટ્રોલ પંપ માટે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

શ્રી અશ્વિનીકુમારે આ નિર્ણય સંદર્ભમાં જણાવ્યું કે, રાજ્યમાં માલવાહક વાહનો સહિત હાઇ-વે પર અવર-જવર કરતા વાહનોને સરળતાએ પેટ્રોલ-ડિઝલ મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ હાઇ-વે પર આવેલા પેટ્રોલ પંપને કોઇ પણ જાતના સમયના બાધ વગર એટલે કે જરૂરીયાત જણાયે ર૪ કલાક ખૂલ્લા રાખવાની પણ અનુમતિ આપી છે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં કોરોના સંક્રમણ સામે જનજાગૃતિ માટે મુખ્યમંત્રીશ્રી પ્રેરિત ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન શરૂ થયું છે. સાથોસાથ લોકો-નાગરિકો પણ હવે કોરોના સાથે-કોરોના સામે જીવન જીવવાની નવી શૈલી અપનાવી જનજીવન ઝડપભેર પૂવર્વત કરવા ઇચ્છે છે ત્યારે મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકાર પણ સરળતાએ જનજીવન સામાન્ય થાય તે માટે પ્રતિબદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.