Western Times News

Gujarati News

નર્મદા કમાન્ડ વિસ્તારમાં સાત જૂનથી નર્મદાનું પાણી અપાશે

કમાન્ડ વિસ્તારના અંદાજે ૧૪ લાખ હેક્ટર કરતા વધુ વિસ્તારના ખેડૂતોને કેનાલો મારફતે પાણી પહોંચાડાશે
અમદાવાદ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ દ્વારા ગુજરાતના લાખો ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી તથા ૪ કરોડ કરતા વધુ નાગરિકોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. સુજલામ-સુફલામ યોજના, સૌની યોજના દ્વારા પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ સુધી નર્મદાના પાણીનો લાભ પુરો પાડવામાં આવી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના ખેડૂતોને સિંચાઇની સુવિધા પુરી પાડવા માટે હવે આગામી ખરીફ સીઝન-ચોમાસાની સીઝનના વાવેતર માટે ખેડૂતો તરફથી રાજ્ય સરકારમાં રજુઆત કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા મંત્રી તરીકે મેં અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચર્ચા કર્યા બાદ નવી સીઝનમાં વાવેતર માટે નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને ખરીફ-૨૦૨૦ના પાક માટે આગામી ૭ મી જુન, રવિવારથી નર્મદાના નીર શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

આ નિર્ણયથી સમગ્ર નર્મદા કમાન્ડ વિસ્તારના ૧૪ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરતા ખેડૂતો, સુજલામ-સુફલામ યોજના, સૌની યોજના દ્વારા પાણી મેળવી વાવેતર કરતા ખેડૂતો, ફતેહવાડી અને ખારીકટ કેનાલ દ્વારા પાણી મેળવતા ખેડૂતોને વાવેતર માટે પાણી મળી રહેશે અને ગુજરાતના ખેડૂતોની મહેનત અને નર્મદા મૈયાના નીર થકી આગામી ખરીફ સીઝનમાં પણ દર વર્ષની જેમ ખેડૂતો વિપુલ પ્રમાણમાં વિવિધ પાકોનું ઉત્પાદન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને સાકાર કરવામાં મદદરૂપ થશે.

તેમણે ઉમેર્યુ કે, ખરીફ પાકની સીઝન દરમ્યાન રાજ્યના ખેડૂતોને જરૂરીયાત મુજબનું પાણી સિંચાઇ માટે આપવામાં આવનાર છે. છેલ્લા પાંચ વર્ષની સરખામણી એ જોઇએ તો આ વર્ષે અત્યારે સરદાર સરોવર બંધમાં સૌથી વધુ એટલે કે, ૧૨૩.૬૧ મીટરની ઉંચાઇએ ૧.૫૧ મીલીયન એકરફીટ પાણી ઉપલબ્ધ છે. જેનો લાભ આગામી ચોમાસામાં નવું પાણી આવે તે પહેલા ગુજરાતના લાખો ખેડૂતો અને પશુપાલકોને વધુમાં વધુ લાભ મળે તે માટે સરદાર સરોવર નર્મદા નિગમ અને રાજ્ય સરકાર સતત કાર્યશીલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.