Western Times News

Gujarati News

કેશબંધ ગામના યુવાન કવિ પ્રોફેસરે લોકડાઉનમાં ડાંગને વિશ્વ સ્તરે ગૌરવ અપાવ્યું 

ઓનલાઈન કાવ્ય સ્પર્ધામાં ભાગ લઇ રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય કક્ષાએ ભાગ લઇ કલા-સાહિત્ય ક્ષેત્રે ડાંગનો ડંકો વગાડ્યો..

ડાંગના છેવાડાના કેશબંધ ગામના સામાન્ય પરિવારમાંથી આવતા કલાપ્રેમી ઉત્સાહી યુવાન પ્રોફેસર ડો.જયંતિલાલ બારીસ કોરોના લોકડાઉન સમયે પોતાની કલાને પ્રદર્શિત કરી રાષ્ટ્રભાષા હિન્દી સાહિત્યની અનેક સંસ્થાઓની ઓનલાઈન સ્પર્ધાઓમાં ભાગ લઇને આંતરરાષ્ટ્રિય કક્ષાએ ઝળકી ડાંગને વિશ્વ ફલક ઉપર મુકી ગૌરવ અપાવ્યું
(ડાંગ માહિતી બ્યૂરો)ઃ આહવાઃ તાઃ ૩૦ ઃ ગુજરાત રાજ્યનો છેવાડે આવેલો ડાંગ જિલ્લો તેના કુદરતી સૌંદર્યને કારણે જાણીતો છે. ઘટાદાર જંગલો સાથે પંખીઓના કલરવ અને ખળખળ વહેતી નદીઓ અને ઝરણાઓ મનને આનંદવિભોર બનાવી દે છે..

નાનકડો જિલ્લો હોવા છતા ઘણાં બધા ક્ષેત્રોમાં અલગ નામના ઉભી કરતા છુપા રત્નો ડાંગને ગૌરવ અપાવી રહયા છે.આજે સાહિત્ય કલા પ્રેમી એવા યુવાન પ્રોફેસર અને હાલમાં આર.કે.દેસાઇ કોલેજ ઓફ એજ્યુકેશન,વાપી ખાતે આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.જયંતિલાલ ભીલખાભાઇ બારીસ નામના કવિએ ડાંગના અંતરિયાળ કેશબંધ ગામ,ગુજરાત રાજ્ય અને ભારત દેશને આંતરરાષ્ટ્રિય સ્તરે નામ રોશન કર્યું છે.

વિશ્વ વ્યાપી કોરોના વાઇરસના કહેરને કારણે સમગ્ર વિશ્વના દેશોએ લોકડાઉન અમલીકરણ કરીને કોરોનાથી બચવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ સમય દરમિયાન આપણાં ભારત દેશમાં પણ ૨૩ માર્ચ ૨૦૨૦ થી લોકડાઉન શરૂ થઇ ગયું. આ સમયગાળા માં લોકોને ફરજીયાત સ્ટે હોમ..ઘરમાં જ રહેવું પડ્યું. સરકારશ્રી દ્વારા શાળા-કોલેજ બંધ રાખી ઓનલાઇન શિક્ષણ જેવા અનેક પગલાઓ લેવામાં આવ્યા. ઘણાં બધા લોકો પોતાના ઘરે રહીને મનગમતી પ્રવૃત્તિઓ કરતા રહ્યા.

કેશબંધ ગામના સામાન્ય પરિવારમાંથી આવતા જયંતિલાલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમના પિતા ભીલખાભાઇ બારીસ અને માતા પાનીબહેન વરસાદ આધારિત ખેતી કરી ગુજરાન ચલાવે છે. ભણવાની તીવ્ર જિજ્ઞાસાવૃત્તિ ને કારણે પ્રાથમિક શિક્ષણ ગામમાં મેળવ્યું. ધો.૧૦ ટેકનીકલ સ્કુલ મઢી ધો.૧૨ સાર્વજનિક સ્કુલ સોનગઢ , બી.એ.નો અભ્યાસ વીર નર્મદ યુનિવર્સિટી,આર્ટસ કોલેજ આહવા, માસ્ટર ડીગ્રી ભાવનગર યુનિવર્સિટી,બી.એઙ કે.એસ.વી.ગાંધીનગર,એમ.એઙ નીલકંઠ એમ.એઙકોલેજ વિસનગર પાટણ યુનિવર્સિટી,એમ.ફીલ અને પીએચડી. સેન્ટ્રલ યુનિવર્સિટી ગાંધીનગરમાં ખૂબ જ સંઘર્ષ સાથે અભ્યાસ કર્યો હતો.

કોલેજ કાળ દરમિયાન સરકારી પુસ્તકાલય,આહવા માં નિયમિત વાંચન કરીને અચાનક ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં એમફીલ,પીએચડીની જાહેરાત વાંચી અને એકમાત્ર સીટ આદિવાસીના ક્વોટામાં હતી. ખૂબ જ હિમ્મત રાખીને ઈન્ટરવ્યુ આપ્યું અને ૫૦ ઉમેદવારોમાં તેઓની પસંદગી થઇ અને હિન્દી ભાષામાં કુકણા જનજાતિની લોકકથાઓ એક સમાજ શાસ્ત્રિય અધ્યયન વિષયે એમફીલ થયા. તેમજ ગામીત અને કુકણા જનજાતિ ના લોકગીત એક અધ્યયન વિષયે પીએચડીની પદવી પ્રાપ્ત થઇ.

લોકડાઉનના સમયે વિશ્વ હિન્દી રચનાકાર મંચ,દિલ્હીના પ્રા.રાઘવેન્દ્ર ઠાકુરના માર્ગદર્શન દ્વારા હેઠળ ડો.જયંતિલાલે ઓનલાઈન રાષ્ટ્રિય તેમજ આંતરરાષ્ટ્રિય કાવ્ય સ્પર્ધામાં ઝંપલાવ્યું હતું. તેમણે મોબાઇલના માધ્યમથી પોતાના ઘરે તેમજ ખેતરોમાં જ્યાં નેટવર્ક મળે ત્યાંથી વિવિધ ઓનલાઈન વેબિનાર તેમજ કાવ્ય સ્પર્ધાઓ માં ભાગ લીધો. ૧૨ જુનના રોજ વિશ્વ બાળશ્રમ નિષેધ દિવસે નચિકેતા બાલ સાહિત્ય સન્માન,ગાંધીનગર ની કાવ્ય રચના સ્પર્ધામાં હરિયાણા,પંજાબ,હિમાચલ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ,મહારાષ્ટ્ર જેવા કુલ ૧૯ રાજ્યોના લોકોએ ભાગ લીધો હતો જેમાં દ્વિતિય ક્રમ મેળવ્યો હતો. હિન્દી સાહિત્ય રત્ન સન્માન,ઈન્ટરનેશનલ,અરરિયા,બિહાર માં ત્રીજો ક્રમ મેળવ્યો હતો. જ્યારે આંતરરાષ્ટ્રિય સ્પર્ધામાં વિશ્વમાં પ્રથમ ક્રમાંક મેળવી ‘નિરજ શબ્દ શીલ્પી સન્માન’ મેળવી ડો.જયંતિલાલે ડાંગ,ગુજરાત અને ભારત દેશનું નામ વિશ્વમાં ગુંજતુ કરી દીધુ છે.

ડો.જયંતિલાલે ( ર્સ્ ૮૧૫૫૦ ૯૩૧૨૧ ) કુલ ૮ જેટલી ઓનલાઈન કાવ્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં મેરી માં,કવિતા મંજિલ,જિંદગી, સોનેરી સંધ્યા,પૃથ્વી દિવસ ઉપર હમારી ધરા,સરકારી કર્મચારી કોરોના યોધ્ધા, આમ્રગુચ્છ,ચાંદ કી ચાંદની,યે જિંદગી જેવી સદાબહાર કાવ્ય રચનાઓ રજુ કરી હતી. ડો.જયંતિલાલના અત્યાર સુધી ૧૫ આર્ટીકલ, ૮૫ કાવ્ય રચનાઓ અને ૫ પુસ્તકો પ્રકાશિત થયા છે. ડાંગ જિલ્લા વહીવટીતંત્ર અને આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીના આચાર્યાશ્રી ડો.પ્રિતિબેન ચૌહાણ સહિત સમગ્ર શિક્ષણ વિભાગે ડો.જયંતિલાલને આ સિધ્ધિ મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.