Western Times News

Gujarati News

દાહોદ જિલ્લામાં વિશ્વ સ્તનપાન સપ્તાહ દરમિયાન વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવાશે

વિશ્વભરમાં ઓગષ્ટ મહિનાના પહેલાં સપ્તાહને વર્લ્ડ બ્રેસ્ટફિડિંગ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે : બાળકોમાં જન્મની સાથે જ જીવનભર સાથે રહે તેવી સબળ રોગપ્રતિકારક શક્તિની બક્ષિસ કુદરત માતાના સ્તનપાન થકી આપે છે : વિશ્વ સ્તનપાન સપ્તાહ વર્ષ ૨૦૨૦ ની આ વખતની થીમ – સ્તનપાનનું સમર્થન કરીએ – તંન્દુરસ્ત વિશ્વના સર્જન માટે

ખાસ લેખ : મહેન્દ્ર પરમાર
દાહોદ, ઘણી વખત આપણે જોઇએ છીએ કે કેટલાંક બાળકો સતત બીમાર રહેતા હોય છે અને જયારે કેટલાંક બાળકો હંમેશા નિરોગી અને સ્વસ્થ્ય રહેતા હોય છે. એક જ વર્ગખંડમાં ભણતા વિદ્યાર્થીઓમાં વર્ષાના પ્રથમ આગમન સાથે જ અમુકને તરત શરદી-ખાંસી-તાવ આવી જતા હોય છે. જયારે કેટલાંક બાળકોમાં ઋતુઓની વિષમતાની કોઇ અસર થતી નથી. આવું થવાનું મુખ્ય કારણ છે રોગપ્રતિકારક શક્તિ. કોરોના મહામારીના આ સમયમાં પણ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ જ રામબાણ ઉપાય બન્યો છે ત્યારે બાળકોમાં જન્મની સાથે જ જીવનભર સાથે રહે તેવી સબળ રોગપ્રતિકારક શક્તિની બક્ષિસ કુદરત માતા થકી આપે છે. જન્મની સાથે જ કરાવામાં આવતું સ્તનપાન અને ત્યાર બાદના પ્રથમ છ માસ માટેનું ફક્ત સ્તનપાન બાળકો માટે રોગો સામે ઝઝૂમવાની અમોઘ શક્તિ પ્રદાન કરે છે.

બાળકો માટે સ્તનપાનના આ મહત્વના કારણે જ વૈશ્વિક સ્તરે વર્લ્ડ અલાયન્સ ફોર બ્રેસ્ટ્રફિડિંગ એકશન દ્વારા વર્ષ ૧૯૯૨ થી લોકઝુંબેશ શરૂ કરવામાં આવી. આ ઝુંબેશમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનીસેફ પણ જોડાઇ અને અત્યારે વિશ્વભરમાં ઓગષ્ટના પહેલાં સપ્તાહને વર્લ્ડ બ્રેસ્ટ ફિડિંગ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. આ સપ્તાહ દરમિયાન સ્તનપાનથી થતા ફાયદાઓથી સગર્ભા અને ધાત્રી માતાઓને અવગત કરવામાં આવે છે અને તેમને બાળકોને સ્તનપાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. દર વર્ષે ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી વખતે એક થીમ પણ નક્કી કરવામાં આવે છે અને એ થીમ મુજબ દુનયાના ૧૭૦ થી પણ દેશોમાં આ ઉજવણી અને જાગૃકતા કાર્યક્રમ ચલાવવામાં આવે છે.

વિશ્વ સ્તનપાન સપ્તાહ વર્ષ ૨૦૨૦ ની આ વખતની થીમ છે – તંન્દુરસ્ત વિશ્વના સર્જન માટે. બાળકોના સ્તનપાનની સીધી અસર પર્યાવરણ પર થાય છે. સ્તનપાન દ્વારા બાળક કુદરતી આહાર મેળવે છે જે કોઇપણ પ્રકારના પ્રદૂષણ, પેકેજીંગ કે પ્રોસેસથી મુક્ત હોય છે. પરિણામે પૃથ્વી પરના હવા, પાણી, જમીન જેવા ઘટકો પર તેની સીધી અસર થાય છે અને પૃથ્વી વધુ સલામત બને છે.

રાજયમાં આ સપ્તાહ દરમિયાન ખૂબ સુંદર નવતર પ્રયોગ કરવામાં આવશે. જેમાં ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં માતા બનવાની શક્યતા હોય અને માતા બને તેમનાં કુટુંબને એક છોડ આપવામાં આવશે તથા બાળક અને છોડની સરખી કાળજી લેવાની સમજ આપવામાં આવશે. જે બાળકો આ રીતે મોટા થશે તેઓ આ છોડને વૃક્ષ થતા જોશે અને પ્રકૃતિ સાથે આપોઆપ જ તેનો લગાવ બની જશે. તેમના જીવનમાં પ્રકૃતિ સાથેનો આ નાતો અતુટ હશે અને તેઓમાં કાયમ પ્રકૃતિની માવજત રાખવાનો સંબઘ બનશે.

આ અઠવાડિયા દરમિયાન યોજાનારી ઝુંબેશમાં ‘અનોખા બંઘન – એક કદમ પ્રકૃતિ તરફ’ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવશે અને લોકોમાં પ્રકૃતિના ઉદાહરણ સાથે નવજાતને સ્તનપાનથી થતા ફાયદાથી અવગત કરાશે. કોરોના મહામારીને કારણે કોઇપણ પ્રકારના મેળાવડા કર્યા વિના જનજાગૃતિ માટે સોશ્યલ મિડિયા અને ટેલિફોનિક સંવાદનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે.

દાહોદ જિલ્લામાં પણ આ સપ્તાહ દરમિયાન વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. જેમાં સગર્ભા –ધાત્રી માતાઓ સાથે ટેલિફોનિક સંવાદ કરીને પ્રસુતિ માટેની પૂર્વતૈયારી અને સ્તનપાનનું મહત્વ સમજાવાશે. સ્થાનિક રેડિયો સ્ટેશનનો પણ આ માટે ઉપયોગ કરાશે અને નિષ્ણાંતોના આ બાબતે સંવાદ રજૂ કરાશે. સાથે ડિઝિટલ હોર્ડિગ દ્વારા નગરપાલિકા પણ પ્રચાર પ્રસાર કરશે. સાથે ઉંબરે આંગણવાડી કાર્યક્રમ ચલાવાશે. તા. ૧ થી તા. ૭ દરમિયાન જન્મનાર બાળકોનાં ઘરે અને આ સપ્તાહમાં ડિલીવરીની સંભવિત તારીખ હોય તેવી સગર્ભા મહિલાને ઘરે વૃક્ષારોપણનું આયોજન કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.