Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લામાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ બે હજારથી વધુ ખેડૂતોએ અરજી કરી

Files Photo

અમદાવાદ, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા માટે અમદાવાદ જિલ્લામાં બે હજારથી વધુ(૨,૧૩૨) ખેડૂતોએ( ૨૮ જુલાઈ,૨૦૨૦ સુધી) I-Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી છે. પોર્ટલ પર ઓનલાઈન અરજી માટેની અંતિમ તારીખ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૦ છે.  ઉલ્લેખનીય છે કે આ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા ૧,૬૦,૦૦૦ થી વધુ ખેડૂતોએ આઈખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી (૨૮ જુલાઈ,૨૦૨૦ સુધી) કરી છે.

આ યોજનાના અમદાવાદ જિલ્લા વિશેની માહિતી આપતા અમદાવાદ જિલ્લા ખેતીવાડી અધિકારી હિતેશ પટેલ કહે છે કે, કુદરતી આફતોના સંજોગોમાં ખેડૂતને ખેતરમાંથી લણેલા પાકમાં નુકશાન થતું હતું, તે અટકાવવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલી બનાવાઈ છે, જેના કારણે ખેડૂતોને થતું પાકનું નુકશાન અટકશે. તેઓ ઉમેરે છે કે, સામાન્યપણે ખેડૂતો ખેતરોમાં નાની ઓરડી બનાવતા હોય છે, જ્યાં બોર(ટ્યૂબવેલ)ની મોટર અને બીજા ખેતીના સાધનો રાખતા હોય છે,આ સંજોગોમાં હવે ખેડૂત થોડુ મોટુ સ્ટ્રક્ચર બનાવી પાક સંગ્રહની સુવિધા ઉભી કરી શકશે.

અમદાવાદ જિલ્લા પંચાયતમાં ખેતીવાડી વિભાગમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીફે ફરજ બજાવતા સંજયસિંહ રાઠોડ આ અંગેની વિગતો આપતા કહે છે, કે ‘જે ખેડૂતોએ પોતાના ખેતર પર પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માંગતા લાભાર્થીઓ I-Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેઓ ઉમેરે છે કે આ ઓનલાઈન અરજી ગ્રામ કક્ષાએ ઈ –ગ્રામ સેન્ટર મારફતે અથવા જ્યાં પણ કમ્પ્યુટર ઈન્ટનેટની સુવિધા હોય ત્યાંથી કરી શકે છે, તેમ જ ખેતીવાડી વિભાગની તાલુકા કચેરીમાં પણ ઓનલાઈન અરજી કરી શકે છે.

આ અંગે ખેડૂતે કરવાની પ્રક્રિયાને વિસ્તૃત રીતે સમજાવતા રાઠોડ કહે છે કે, ખેડૂતે ઓનલાઈન અરજી કરી તે અરજીની પ્રિન્ટ મેળવી સહી/અંગુઠો કરી નીચે જરુરી કાગળો સાથે તે ગ્રામ સેવક અથવા તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી કે સંબંધિત તાલુકા અમલીકરણ અધિકારી કે પેટા વિભાગીય અધિકારીની કચેરીમાં રજૂ કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ ખેડૂતને ખેતર પર પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે કુલ ખર્ચના ૩૦ ટકા અથવા રૂ.૩૦ હજાર (બે માંથી જે ઓછું હોય તે) સહાય મળવાપાત્ર છે. લાભાર્થી ખેડૂતેને આ સહાય બે તબક્કામાં મળવાપાત્ર છે. પ્રથમ હપતો (૧૫ હજાર) પ્લીન્થ લેવલની કામગીરી પૂર્ણ થયે, જ્યારે બીજો હપતો(૧૫ હજાર)પાક સંગ્રહ સ્ટ્રક્ચરની કામગીરી પૂર્ણ થયે ચકાસણી બાદ ચૂકવવામાં આવે છે.

આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધરાવતા તમામ ખેડૂતો લઈ શકે છે. જો કે યોજનાનો લાભ મેળવવા લાભાર્થી ખેડૂતોએ તેમની જમીનના ૮- અ માં દર્શાવેલા અન્ય ખાતેદારોની સંમતિ મેળવવાની રહે છે. ઉલ્લેખનીય છે કે અરજદારે આ સ્ટ્રક્ચર ખેડૂતે પોતાની ખેતીની જમીન પર જ બનાવવાનું રહે છે, પણ તે માટે જમીનને બિનખેતી (N.A) કરાવવાની જરુર રહેશે નહી. ગુજરાત સરકારે ખેડૂતો લાંબા સમય સુધી પાક સંગ્રહ કરી શકે તે માટે આ યોજના અમલી બનાવી છે. આ યોજનાના અમલીકરણના પગલે ખેડૂતોને પાક સંગ્રહ માટે ગોડાઉન ઉપ્લબ્ધ થવાથી ખેતપેદાશોની ગુણવત્તા જળવાઈ રહેશે, તે યોગ્ય સમયે વેચાણ કરી શકશે અને પરિણામે તેમની ખેતી વધુ નફાકારક બનશે.

રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૦-૨૧માં કોવીડ મહામારીથી ઉદભવેલી પ્રતિકુળ આર્થિક પરિસ્થિતિમાં રાજ્યના અર્થતંત્રને પુનઃ વેગવંતુ બનાવવા માટે મુખ્યમંત્રી પાક સંગ્ર સ્ટ્રક્ચર યોજના માટે રૂ. ૩૫૦ કરોડના ખર્ચને વહીવટી મંજૂરી આપી છે. આમ રાજ્ય સરકારના આ પગલાંથી ગ્રામ્ય ગુજરાતનું અર્થતંત્ર પુનઃ ધમધમતું થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.