Western Times News

Gujarati News

પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ આપઘાત કરી લીધો

અમદાવાદ: સરસપુરમાં રહેતા એક યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કરવાના કેસમાં હવે તેની જ પત્ની સામે ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મૃતકની માતાએ નોંધાવી છે જેમાં મૃતકની પત્ની સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે લગ્ન બાદ આરોપી પુત્રવધુ તેના પતિ સાથે સુઈ જતી નહોતી અને તેને આ બાબતે માતાજીની બાધા હોવાનું કહી વારંવાર ઝગડા કરતી રહેતી હતી.

સમગ્ર આક્ષેપો વચ્ચે હવે શહેરકોટડા પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરના સરસપુરમાં આવેલી જગજીવન સોસાયટીમાં રહેતા મૂળીબહેન ઉર્ફે શારદા બહેન પરમાર ના પતિ મે-૨૦૨૦ માં મૃત્યુ પામ્યા હતા. તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. તેમના સુરેન્દ્રસિંહ નામના ૩૩ વર્ષીય પુત્રએ પહેલા લગ્ન કર્યા બાદ પત્ની સાથે મનમેળ ન આવતા છૂટાછેડા લીધા હતા. બાદમાં વર્ષ ૨૦૧૮મા ગીતાબહેન પરમાર નામની સ્ત્રી સાથે તેમણે લગ્ન કર્યા હતા.

બાદમાં ગીતા અને સુરેન્દ્રસિંહ લગ્ન પછી પણ અલગ અલગ રૂમમાં સુતા હતાં. સુરેન્દ્રસિંહની માતાને આ વાતની જાણ થતા તેમણે તેમના પુત્રને આ વાત પૂછી હતી.

જેથી સુરેન્દ્રસિંહએ કહ્યું કે તેની પત્ની ગીતાએ તેની સાથે ન સુવા માટે માતાજીની બાધા લીધી છે. ગીતાએ અગાઉ પણ બે લગ્ન કર્યા હતા. બાદમાં ગીતા સાસરે વધુ રોકાતી નહિ અને પિયરમાં જઈને રહેતી હતી. એક દિવસ ગીતાએ તેના પતિ સુરેન્દ્રસિંહ ને મકાનનો ભાગ લઈને ખોખરા રહેવા જવા માટે વાત કરી ઝગડો કર્યો હતો. આવી નાની નાની વાતોમાં ગીતા ઝગડા કર્યા કરતી હતી.

સુરેન્દ્રસિંહના પિતાનું મે માસમાં અવસાન થતાં ગીતા આવી અને રોકાઈ હતી. બારેક દિવસ બાદ ગીતા પરત જતી રહી હતી અને અલગ રહેવા દબાણ કરતી હતી. જેથી સુરેન્દ્રસિંહએ તેને ફોનમાં બ્લેકલીસ્ટ માં નાખી દીધી હતી.

પણ અન્ય નંબરો પરથી ફોન કરી ત્રાસ આપતા સુરેન્દ્રસિંહ તણાવમાં રહેતો અને બીમાર રહેતો હતો. ગત ૨૭મી જુલાઈએ ઘરના સભ્યો એક મરણ પ્રસંગમાં ગયા ત્યારે સુરેન્દ્રસિંહે આપઘાત કરી લીધો હતો. જેથી આ મામલે પહેલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. બાદમાં પોલીસે આ મામલે ત્રાસ આપનાર પત્ની ગીતા સામે જ ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.