Western Times News

Gujarati News

નવરાત્રીને લઈ ખેલૈયાઓ ઉત્સાહમાં : સરકાર અવઢવમાં- જાેવાવાળાને ‘નો એન્ટ્રી’

File Photo

 માત્ર ખેલૈયાઓને મંજૂરી અપાશે : ગુજરાતમાં સૌથી મોટા પર્વ નવરાત્રી પર કોરોનાનો ઓછાયો

(પ્રતિનિધિ) અમદાવાદ, નવરાત્રી યોજવા અંગે કેન્દ્ર અને રાજયની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે તેમ રાજય સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે પરંતુ નવલા નોરતા યોજવા એટલા સરળ નથી. નવરાત્રીમાં મોટી સંખ્યામાં બાળકો- યુવાનો, યુવતીઓ, વૃધ્ધો સહિત સૌ કોઈ ગરબે ઘૂમતા હોય છે તેમાં ગરબા ગાવા કરતા જાેવાવાળો વર્ગ વધારે હોય છે ખાનગી પાર્ટી પ્લોટોમાં તો મોટી સંખ્યામાં ગરબા રમવાવાળા અને જાેવાવાળાઓની ભીડ જામતી હોય છે તો સોસાયટી- શેરીઓમાં પ્રમાણમાં સંખ્યા ઓછી હોય છે પરંતુ અહીંયા સોશિયલ ડીસ્ટન્સીંગ કઈ રીતે જાળવી શકાય તે મોટો પ્રશ્ન છે.

જાેકે ખાનગી પાર્ટી પ્લોટોમાં માત્ર ગરબે ઘૂમવાવાળા ખેલૈયાઓને પ્રવેશ આપવામાં આવે તો કેટલેક અંશે સમસ્યા હલ થઈ શકે છે. મતલબ એ કે ખાસ ડ્રેસ કોડ સાથે માત્ર ગરબે રમવાવાળા અને તે પણ નિર્ધારિત સંખ્યા સાથે પ્રવેશ આપવામાં આવે અને બીજી તરફ ટીકીટના દર ઉંચા રખાય તો ગરબે રમવાવાળા સિવાય કોઈ આવે નહિ. તો સોસાયટીઓ- ફલેટોમાં ગરબે રમાવાવાળા સિવાય ગાર્ડન કે કોમન પ્લોટમાં જાેવાવાળાને પ્રવેશ અપાય નહિ તો કેટલેક અંશે વાત બની શકે છે.

આતો થઈ ગરબાના ખેલૈયાઓની વાત પરંતુ જે કલાકારો ઓરકેસ્ટ્રામાં મ્યુઝીક વગાડે છે ગીત ગાય છે. સાઉન્ડ સીસ્ટમ સ્ટેજ બનાવવાવાળા લાઈટીંગ ટૂંકમાં આ બધા કલાકારોની હાલત કફોડી છે. નાન ઓરકેસ્ટ્રાના કેટલાય કલાકારોને આવક નહિ હોવાથી શાકભાજીની લારીઓ કે ચા ની કીટલી ચલાવતા થઈ ગયાના કિસ્સા પ્રકાશમાં આવી રહયા છે. નવરાત્રીને લઈને એટલી તીવ્ર લાગણી છે કે સાઉન્ડ- સિસ્ટમવાળાઓએ તો રાજકીય પક્ષોને ચૂંટણી સભાઓમાં સિસ્ટમની ફાળવણી નહિ કરવા સુધીની ચીમકી આપી છે.

નવરાત્રી યોજવાને લઈને તીવ્ર લોકલાગણી પ્રવર્તી રહી છે પરંતુ કોરોનાનું સંક્રમણ વધ્યુ છે ભારત વિશ્વમાં બીજા નંબરે આવી ગયુ છે તો ગુજરાતમાં પણ દિન- પ્રતિદીન કેસો વધી રહયા છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

અમદાવાદ- સુરત- રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના રોકેટ ગતિએ વધ્યો છે. સ્થિતિ ચિંતાજનક છે કે રાજકોટમાં તો અમદાવાદથી મોટી સંખ્યામાં ડોકટરોની ટીમને મોકલવામાં આવી છે એમાંય રાજકારણીઓની સભાઓથી કોરોના સંક્રમણ વધે તેવા સંકેતો મળી રહયા છે ત્યારે નવરાત્રીને મંજુરી અપાય તો કોરોના સંક્રમણના કેસો કેટલા વધી શકે છે તે પ્રશ્ન રાજય સરકારને સતાવી રહયો છે. રાજય સરકાર સારી રીતે જાણે છે કે ગુજરાતમાં નવરાત્રી સૌથી મોટો પર્વ છે. નવરાત્રી- ઉતરાયણ ગુજરાતમાં નાગરિકોનો પ્રિય તહેવાર છે. પરંતુ આ વખતે સ્થિતિ સામાન્ય નથી સામે કોરોના કાળ બનીને મોં ફાડીને ઉભો છે રાજય સરકાર ખૂબજ સાવચેતીપૂર્વક આગળ વધવા માંગે છે અને તેથી જ જે કંઈ નિર્ણય કરશે તે નવરાત્રીના ગણતરીના કલાકો પહેલા કરે તેવુ અનુમાન લગાવવામાં આવી રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.