વિમાનની સુરક્ષાને જોખમમાં મૂકનારાને એક કરોડનો દંડ
રાજ્યસભામાં ફ્લાઈટ અમેન્ડમેન્ટ બિલ પસાર-વિમાન સુધારણા બિલનો કોંગ્રેસના સાંસદે વિરોધ કર્યો
નવી દિલ્હી, રાજ્યસભામાં ફ્લાઈટ અમેન્ડમેન્ટ બિલ, ૨૦૨૦ બહુમતિથી પસાર કરવામાં આવ્યું છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારતમાં, ત્રણ નિયમનકારી સંસ્થાઓ જેવીકે નાગરિક ઉડ્ડયન નિયામક મંડળ, નાગરિક ઉડ્ડયન સલામતી કચેરી અને હવાઇ અકસ્માત તપાસ કચેરી – નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે વધુ અસરકારક બનાવવામાં આવશે.
કુવેતથી અમદાવાદ આવતી ઈન્ડીગોની ફલાઈટમાં મુસાફર ધ્રુમ્રપાન કરતો ઝડપાયો
કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ કહ્યું કે એરક્રાફ્ટ સુધારા બિલ દેશમાં વિમાન કામગીરીની સલામતીના સ્તરને વધારવામાં મદદ કરશે. બિલમાં વિમાન કાયદા ૧૯૩૪ માં સુધારો કરીને દંડની મહત્તમ રકમ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
હાલમાં, દંડની મહત્તમ મર્યાદા ૧૦ લાખ રૂપિયા છે, જે બિલમાં વધારીને ૧ કરોડ કરવામાં આવી છે. વિમાનમાં હથિયારો, દારૂગોળો અથવા ખતરનાક પદાર્થો લઈ જવાની સજા ઉપરાંત કે કોઈપણ રીતે વિમાનની સલામતી જોખમમાં મૂકવામાં આવશે તો સજાની સાથે દંડની રકમ ૧૦ લાખ રૂપિયા હતી. આ નિયમોમાં ફેરફાર કરાયા છે. એરક્રાફ્ટ બિલમાં સુધારો કરીને, હાલની પેનલ્ટીની રકમ ૧૦ લાખ રૂપિયાથી વધારીને ૧ કરોડ કરવામાં આવી છે.
વિમાન સુધારણા બિલનો વિરોધ કરતાં કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે આરોપ લગાવ્યો કે તે પીપીપી મોડેલ પર એરપોર્ટ વિકસાવવાના નામે એક કૌભાંડ છે. ભાજપના સાંસદ જીવીએલ નરસિંહા રાવે બિલનો બચાવ કરતાં કહ્યું કે આ બિલ આપણા ઉડ્ડયન ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન લાવવાનું છે, જેના પગલે મુસાફરોની અવરજવરમાં મોટો વધારો થયો છે.