Western Times News

Gujarati News

નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર યોજના- એસ.ટી.પી. અને ૧૦૦ ટકા ‘નલ સે જલ’ માટે રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ : વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની બધી જ મ્યુનિસિપાલટીમાં ભૂગર્ભ ગટર યોજના, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ૧૦૦ ટકા ‘નલ સે જલ’ માટે રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્યમાં ૪૫ ટકાથી વધુ વસ્તી શહેરી વિસ્તારોમાં વસે છે ત્યારે આપણા શહેરો આધુનિક બને તે સાથે જ લાઈટ, પાણી, ગટર, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ સુદ્રઢ અને સરળ હોય તેવી વ્યવસ્થાઓ વિકસાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગરમાં ૬૯.૮૪ કરોડના ખર્ચે પ્રથમ તબક્કામાં ૧૨૪ કિલોમીટર ભૂગર્ભ ગટર યોજનાના ખાતમૂર્હત સહિત સમગ્રતયા ૯૨.૭૫ કરોડના વિવિધ લોકાર્પણ- ખાતમુહૂર્તના અવસરે વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે આ સરકાર ‘જ્યાં માનવી, ત્યાં સુવિધા’ના મંત્ર સાથે કાર્યરત છે એટલું જ નહીં છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડી તેને પણ વિકસિતોની હરોળમાં લાવવા પ્રતિબદ્ધ પણ છે.

તેમણે કહ્યું કે કોરોના સંક્રમણ વચ્ચે પણ આપણે વિકાસના કામોની ગતિ અટકવા દીધી નથી. ‘ન રુકના હૈ ન ઝુકના હૈ’ના ધ્યેય સાથે આ કોરોના કાળમાં પણ ૧૧ હજાર કરોડના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્તના કામો કર્યા છે. એટલું જ નહીં, નગરો મહાનગરોમાં પણ નાગરિક સુવિધા સુખાકારીના કામો માટે ડિજિટલી ચેક આપીને  વિકાસ ગતિ અટકવા દીધી નથી મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે કોરોના સાથે, કોરોના સામે જીવવાની અને રોજિંદી પ્રવૃત્તિઓ કરવાની સાથે સાવચેતી સલામતી માટે માસ્ક, સેનીટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સિગ પણ લોકો અપનાવે છે તેના પરિણામે રાજ્યમાં સંક્રમણનો વ્યાપ પ્રમાણમાં વધ્યો નથી.

રાજ્ય સરકારે પણ સઘન આરોગ્યલક્ષી ઉપાયો કરવાની અને સંક્રમિતોની સારવારની જે વ્યવસ્થાઓ ઊભી કરી તેના પરિણામે પેશન્ટ રિકવરી રેટ ૮૫ ટકા અને મૃત્યુદર ૨.૫ ટકા સુધી લઇ જવામાં સફળતા મળી છે.  વિજયભાઈ રૂપાણીએ અરવલ્લી જેવા નવરચિત જિલ્લામાં ભૂગર્ભ ગટર યોજના સાથે ૧૮ કરોડના ખર્ચે નિર્મિત ૧૩૮ રૂમના કુમાર છાત્રાલય-બોયઝ હોસ્ટેલનો લોકાર્પણ, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના અંતર્ગત ૨ કરોડ ૯૯ લાખના નવા ભવન અને ૧.૨૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ઘેટા બકરા સેવા કેન્દ્રનો પણ આરંભ કરાવ્યો હતો.

તેમણે કહ્યું કે રાજ્યના કિસાનોને પૂરતું પાણી, વીજળી અને પાક વીમા સહાય, અદ્યતન સાધનો આપવા સાથે પશુપાલન વ્યવસાયમાં પશુઓની અદ્યતન માવજત સારવારથી પશુપાલનને પણ ખેતી સમકક્ષ બનાવી કૃષિ-પશુપાલન સમૃદ્ધિ માટે રાજ્ય સરકારનો સંકલ્પ છે. આ અવસરે પાણી પુરવઠા પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા રાજકોટથી તેમજ સાંસદ દિપસિંહજી રાઠોડ અને જિલ્લાના પદાધિકારીઓ મોડાસાથી વિડીયો લીંક દ્વારા ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.