Western Times News

Gujarati News

શહેરીજનોએ માસ્ક ન પહેરી રૂા.૧૧.૧૧ કરોડનો દંડ ભર્યો

અમદાવાદીઓને કોરોના કે આર્થિક મંદી નડતા નથી ! પોલીસ વિભાગે રૂા.૬.૬૬ અને મ્યુનિ.કોર્પાેરેશને રૂા.૪.૪૫ કરોડની વસૂલાત કરીઃ માસ્ક ન પહેરવા બદલ ૩ લાખ ૪૨ હજાર કેસ નોંધાયાઃ મ્યુનિ.કોર્પાેરેશને વિવિધ કારણોસર રૂા.૫.૧૦ કરોડ વસુલ્યા

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે પરંતુ તે પૂરતા અને અસરકારક સાબિત થયા નથી.

કોરોના માટે જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનો અમલ થાય તે માટે મ્યુનિ.અને પોલીસ વિભાગ પૂરતા પ્રયાસ કરી રહ્યા છે. જેની સામે નાગરીકો તરફથી યોગ્ય પ્રતિભાવ મળી રહ્યો નથી.

રાજ્ય સરકાર તરફથી અનલોકમાં જે છુટકારો આપવામાં આવ્યો છે તેનો નાગરીકો દુરૂપયોગ કરી રહ્યાં છે તથા ફરી એક વખત ટોળા શાહી અને ભીડભાડવાળા બજાર જાેવા મળે છે.

જ્યાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની ગાઈડલાઈનનો લેશમાત્ર અમલ થતો નથી. જેના કારણે મનપા દ્વારા ૨૭ વિસ્તારોમાં રાત્રે દસ વાગ્યા બાદ દુકાનો બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યાં છે.

બીજી તરફ, કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતા નાગરીકો પાસેથી દંડ પણ વસૂલ થઈ રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે અમદાવાદીઓને કોરોના અને આર્થિક મંદી નડતા ન હોય તેમ લાગી રહ્યું છે. તથા કોરોનાકાળમાં રૂા.૧૦ કરોડ કરતા વધુ રકમ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને જાહેરમાં થૂંકવા બદલ ભરપાઈ કર્યા છે.

કારોના માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનના ભંગ બદલ અમદાવાદના નાગરીકો એ રૂા.૧૧ કરોડ જેટલી માતબર રકમ દંડ પેટે ભરપાઈ કરી છે.

જે પૈકી રૂા.૫.૧૦ કરોડની રકમ મ્યુનિ.કોર્પાેરેશને વસૂલ કરી છે. મ્યુનિ.કોર્પાેરેશનના સૂત્રોએ જણાવ્યા મુજબ લોકડાઉન સમયથી ૨૬ સપ્ટે.સુધી જાહેરમાં થૂંકવા બદલ ૬૯૪૯ કેસ કરવામાં આવ્યા છે. તથા રૂા.૨૭.૨૧ લાખનો દંડ લેવામાં આવ્યો છે.

જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ ૧,૪૬,૩૪૯ લોકો સામે કેસ કરવામાં આવ્યા છે. તથા રૂા.૪.૪૫ કરોડનો દંડ લેવામાં આવ્યો છે.

માસ્ક ન પહેરવા માટે રૂા.૨૦૦થી ૧૦૦૦ સુધીનો દંડ સરકારના આદેશ મુજબ વસૂલ કરવામાં આવ્યાં છે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવા તથા ગંદકી ફેલાવવા બદલ ૬૦૩ જેટલા પાનના ગલ્લા, મોલ અને દુકાનો સીલ કરવામાં આવ્યાં છે.

જેની સામે રૂા.૩૮.૮૨ લાખની પેનલ્ટી લેવામાં આવી છે. મ્યુનિ.કોર્પાેરેશને કોરોના કાળ દરમ્યાન વિવિધ ગુના બદલ ૧,૫૩,૯૪૬ કેસ કરીને રૂા.૫.૧૦ કરોડના દંડની વસૂલાત કરી છે.

અત્રે, ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે અનલોક-૧માં ૧૩ ુને જાહેર કરેલા પરિપત્રમાં માસ્ક ન પહેરવા બદલ દંડ વસૂલ કરવાની સત્તાા પોલીસ વિભાગને સોંપી છે. તેથીી મનપા દ્વારા કયા નિયમ મુજબ તથા કોના આદેશથી પેનલ્ટી લેવામાં આવી રહી છે તે બાબત ચર્ચાનો વિષય બની છે.

અમદાવાદના નાગરીકો પેનલ્ટીનો બેવડો માર સહન કરી રહ્યાં છે. મ્યુનિ.કોર્પાેરેશનની સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા પણ માસ્ક ન પહેરવા કે જાહેરમાં થૂંકવા બદલ પેનલ્ટી લેવામાં આવી છે.

અમદાવાદ શહેર પોલીસ વિભાગ દ્વારા ૨૪ સપ્ટેમ્બર સુધી રૂા.૬.૬૩ કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વખતોવખત જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનના ભંગ બદલ પોલીસ વિભાગ દંડ વસૂલ કરે છે.

જેમાં લોકડાઉન અને ત્યારબાદના સમયમાં સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ ૧૦૪૯૩ કેસ કરવામાં આવ્યાં છે. તેમજ તે બદલ ૧૬૬૦૫ લોકોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ ૧,૯૬,૨૧૧ લોકો સામે કેસ કરવામાં આવ્યા છે. તથા રૂા.૬.૬૩ કરોડનો દંડ લેવામાં આવ્યો છે.

રાજ્ય પોલીસ વિભાગ દ્વારા જાહેરમાં થૂંકવા તેમજ માસ્ક ન પહેરવા બદલ ૧૭,૨૫,૮૭૭ લોકો સામે કેસ કરવામાં આવ્યાં છે તથા દંડ પેટે રૂા.૫૨.૩૫ કરોડની વસૂલાત કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા અનલોકમાં જે છૂટછાટ આપવામાં આવી છે તેનો નાગરીકો દ્વારા દુરૂપયોગ થઈ રહ્યો છે. તથા સોશિયલ ડીસ્ટન્સ અને માસ્કની ગાઈડલાઈનનો અમલ થઈ રહ્યો નથી. જ્યારે બીજી તરફ દંડની રકમ વધારે હોવાથી કોરોનાકાળ અને આર્થિક મંદીના સમયમાં નાગરીકોને રાહત આપવા માટે પણ માંગણી થઈ રહી છે.HS

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.