Western Times News

Gujarati News

સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે અલગ ડાયાલિસીસ કેન્દ્ર કાર્યરત થયું

File Photo

સપ્ટેમ્બર મહિનામાં ૨૧૧ કોરોનાગ્રસ્ત દર્દીઓએ સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસીસ કરાવ્યુંઃ ડૉ.જે.પી.મોદી

અમદાવાદ, કોરોનાગ્રસ્ત દર્દીઓ ખાસ કરીને કોમોર્બિડીટી (અન્ય કોઇ પ્રકારની બિમારી) ધરાવતા દર્દીઓને ખાસ પ્રકારની સારવારની જરૂર પડે છે. કિડનીની તકલીફ ધરાવતા દર્દીઓ તેમાં પણ ક્રોનિક કિડની ફેલ્યોર ધરાવતા દર્દીઓને નિયમિત ડાયાલિસીસ કરાવવાની તાકીદ જરૂરિયાત ઉભી થાય છે.આવા દર્દીઓનું સમયતાંરે ડાયાલિસીસ કરાવવામાં ન આવે તો જીવ ટકાવી રાખવો મુશકેલ બની રહે છે. આ સંવેદનશીલતાને ધ્યાને રાખીને ડાયાલિસીસની તાકીદ જરૂરિયાત ધરાવતા દર્દીઓને સરળતાથી ડાયાલિસીસ ની સુવિધા મળી રહે તે નિર્ધાર સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અલાયદુ ડાયાલિસીસ કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યુ છે.

કિડની ફેલ્યોર ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓને હવેથી સંપૂર્ણપણે અલાયદી ડાયાલિસીસની વ્યવવસ્થા મળી રહેશે.અમદાવાદ સિવિલની કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલના ત્રીજા માળે અલાયદા ડાયાલિસીસ વોર્ડમાં આધુનિક સુવિધાઓથી સજ્જ ૫ ડાયાલિસીસીસ મશીન કાર્યરત કરવામાં આવ્યા છે.અત્યાર સુધી ડાયાલિસીસની જરૂરિયાત ધરાવતા દર્દી કોરોના સંક્રમિત થઇને ઓ.પી.ડી.માં સારવાર અર્થે આવતા ત્યારે તેમને સામાન્ય વોર્ડમાં દાખલ કરવા પડતા હતા ત્યારબાદ આઇ.સી.યુ.માં ડાયાલિસીસ કરાવવું પડતુ હતુ.

આ સંપૂર્ણ પરિસ્થિતીને ધ્યાને રાખાને જ સિવિલ હોસ્પિટલની આ પહેલ ઓ.પી.ડી.માં આવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અસરકારક નિવડશે. આ ડાયાલિસીસ કેન્દ્રમાં એકસાથે પાંચ દર્દીઓ ડાયાલિસીસ કરાવી શકશે.ડાયાલિસીસની પ્રક્રિયામાં શુધ્ધ પાણીની ખાસ જરૂર પડતી હોય છે તેને ધ્યાને રાખીને અત્યાધુનિક આર.ઓ. પ્લાન્ટની પણ અલાયદી વ્યવસ્થા આ ડાયાલિસીસ વોર્ડમાં કરવામાં આવી છે. ડાયાલિસીસમાં ઉપયોગમાં લેવાતા તમામ ઉપકરણો અને સુવિધાઓ આ વોર્ડમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેટ ડૉ. જે.પી. મોદી કહે છે કે કોરોનાગ્રસ્ત દર્દીઓ કે જેઓ કિડનીની તકલીફ ધરાવે છે તેમને અઠવાડિયામાં બે થી ત્રણ વખત ડાયાલિસીસ કરાવવાની જરૂરીયાત ઉભી થતી હતી. સપ્ટેમ્બર મહિનામામં ૨૧૧ દર્દીઓનું ડાયાલિસીસ કરાવવામાં આવ્યુ હતુ. ડાયાલિસીસ માટે તેમને સામાન્ય વોર્ડથી આઇ.સી.યુ. વોર્ડમાં ખસેડવા પડતા હતા જેથી દર્દીને શારિરીક તેમજ માનસિક તકલીફ ઉભી થતી હતી. આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને અને દર્દીઓને સરળતાથી ડાયાલિસીસની સુવિધા મળી રહે તે માટે કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં દેશનુ સૌપ્રથમ ઇન હાઉસ ડાયાલિસીસ કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં આ અગાઉ પણ દર્દીઓના સ્વાસ્થય સુવિધાઓ માટે ઇન હાઉસ લેબોરેટરી, દેશની સૌપ્રથમ પ્લાઝમા બેન્ક, દેશનું સૌપ્રથમ જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો હતો. હવે ઇન હાઉસ ડાયાલિસીસ વોર્ડ કાર્યરત કરીને હોસ્પિટલની સ્વાસ્થય સેવાઓમાં વધુ એક પીંછુ ઉમેરાયુ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.