Western Times News

Gujarati News

નેશનલ ગોલ્ડ મેડલ વિજેતાનું સેનિટાઇઝર પીવાથી મોત

હરિયાણા: પૂર્વ સૂબેદાર અને કુશ્તીમાં નેશનલ ગોલ્ડ મેડલ વિજેતા અજય ઠાકુરનું સેનિટાઇઝર પીવાથી મોત થઈ ગયું છે. લગભગ ૧૧ મહિના પહેલા પંચકૂલામાં થયેલી લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ઘટનાના ૮ મહિના બાદ શંકાના આધારે અજયની ધરપકડ કરી હતી. (National gold-medalist wrestler Ajay Thakur dies after drinking sanitiser)

ત્યારબાદથી જ અજય પરેશાન હતો અને છેલ્લા ત્રણ મહિનાથી જેલમાં કેદ અજય બે દિવસથી સેનિટાઇઝર પી રહ્યો હતો. તબિયત વધુ બગડતાં સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સોમવારે તેનું મોત થયું હતું. મૃતકના સાથી જેલના કેદીએ જણાવ્યું કે અજય છેલ્લા બે દિવસથી સેનિટાઇઝર પી રહ્યો હતો.

તેને રોકવાનો પ્રયાસ કર્યો પણ તે માન્યો નહીં. તેણે કેન્ટીનથી સેનિટાઇઝરની બે બોટલો હાથ ધોવાનું કહીને ખરીદી હતી. તબિયત બગડતાં તેને સિવિલ હૉસ્પિટલ રેફર કરવામાં આવ્યો હતો. જેલ અધીક્ષકે પણ મોતનું આ જ કારણ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે, હિમાચલ પ્રદેશ સ્થિત નાલાગઢના સૈની માજરાના રહેવાસી અજય ઠાકુરે નેશનલ કુશ્તી પ્રતિયોગિતમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. આટલું જ નહીં તેણે સેનામાં ત્રણ વર્ષ સૂબેદારના પદ પર પોતાની સેવાઓ આપી,

પરંતુ તેનું મન નહોતું લાગતું અને તેણે નોકરી છોડી દીધી. અજયે પોતાના મિત્ર વીકે રાણાની સાથે મળી સૈની માજરામાં ખોલવામાં આવેલા બજરંગ અખાડામાં યુવાઓને પહેલવાનીના દાવપેચ શીખવાડવાનું શરૂ કર્યું હતું. હાલમાં પણ બજરંગ અખાડામાં બે ડઝન યુવા ટ્રેનિંગ લઈ રહ્યા છે.

મંગળવારે મેજિસ્રેકરટની સમક્ષ થયેલી વીડિયોગ્રાફીમાં ડૉક્ટરોની પેનલે અજયના શબનું પોસ્ટમોર્ટમ કર્યું. હેડ કોન્સ્ટેબલ બલજીત સિંહ અનુસાર મૃતકના પિતા બલવંત સિંહ તથા બંને કાકાએ તેમના મોત પર કોઈ આશંકા વ્યક્ત કર્યા વગર તેને બીમાર ગણાવ્યો. મૃતકને એક દીકરો અને દીકરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.