Western Times News

Gujarati News

આગામી ૩ વર્ષમાં કેનેડા ૧૨ લાખને વિઝા-પીઆર આપશે

ઓટ્ટાવા, કેનેડા જવા માગતા લોકો માટે ખુશખબર છે. દેશના ઈમિગ્રેશન મંત્રી માર્કો મેન્ડિસિનોના જણાવ્યા અનુસાર, કેનેડા આગામી ત્રણ વર્ષમાં ૧૨ લાખ ઈમિગ્રન્ટ્‌સને વિઝા/પીઆર આપવા કટિબદ્ધ છે. કોરોનાને કારણે માંદા પડેલા અર્થતંત્રને ગતિ આપવા અને લેબર માર્કેટમાં સર્જાયેલો ગેપ ભરવા માટે કેનેડાની સરકાર મોટાપાયે વિદેશીઓને આવકારવા વિઝા આપવા તૈયાર છે. જાણકારોનું માનીએ તો, ૧૯૧૧ પછી પહેલીવાર કેનેડા આટલી મોટી સંખ્યામાં વિદેશીઓને પીઆર આપવા જઈ રહ્યું છે. જેમાં ૨૦૨૧માં જ ઈકોનોમિક ક્લાસના ૨,૩૨,૫૦૦ ઈમિગ્રન્ટ્‌સને દેશમાં વેલકમ કરવાનો પ્લાન છે.

૨૦૨૧માં કેનેડામાં હાલ જેઓ વસવાટ કરી રહ્યા છે તેમના ૧,૦૩,૫૦૦ જેટલા પરિવારજનોને પણ વિઝા કે પીઆર અપાશે. આ સિવાય ૫૯,૫૦૦ રેફ્યુજી અને અન્ય પ્રોટેક્ટેડ લોકોને કેનેડા આવકારશે. ૫,૫૦૦ લોકોને માનવતાના ધોરણે પીઆર આપવાની જાહેરાત પણ કરાઈ છે. ઓટ્ટાવામાં પત્રકારો સાથે વાત કરતા મેન્ડિસિનોએ જણાવ્યું હતું કે સરકાર ૨૦૨૧માં ૪,૦૧,૦૦૦ લોકોને પીઆર આપવા તૈયાર છે, આ આંકડો ૨૦૨૨માં ૪,૧૧,૦૦૦ અને ૨૦૨૩માં ૪,૨૧,૦૦૦ને પહોંચશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેનેડાને વધુ કામદારોની જરુર છે, અને તેની આપૂર્તિ ઈમિગ્રેશન દ્વારા થઈ શકે તેમ છે.

કોરોના પહેલા પણ અર્થતંત્રને આગળ ધપાવવા માટે કેનેડાની સરકાર ઈમિગ્રેશનને પ્રોત્સાહન આપતી જ હતી, પરંતુ હવે તે જરુરિયાત બની ગયું છે તેમ પણ ઈમિગ્રેશન મંત્રીએ જણાવ્યું હતું. કેનેડાની ઈમિગ્રેશન સિસ્ટમ વર્ષોથી એક મોડેલ સિસ્ટમ ગણાવાય છે, જેના અંતર્ગત અત્યારસુધી લાખો સ્કીલ્ડ વર્કર્સ તેમજ રેફ્યુજી ઉપરાંત, પોતાના કેનેડા સ્થિત પરિવારજનો સાથે રહેવા માગતા લોકોને વિઝા, પીઆર કે નાગરિકત્વ આપવામાં આવ્યા છે. કોરોનાને કારણે માર્ચ ૨૦૨૦માં કેનેડાએ પોતાની બોર્ડર લગભગ સીલ કરી દીધી હતી. જોકે, ઓગષ્ટ સુધીમાં કેનેડામાં ૧,૨૮,૪૨૫ લોકોનો પ્રવેશ થયો છે.

૨૦૨૦માં કેનેડાનો ટાર્ગેટ ૩,૪૧,૦૦૦ લોકોને વિઝા આપવાનો હતો, પરંતુ કોરોનાને કારણે આ ટાર્ગેટ પૂરો થવો મુશ્કેલ લાગી રહ્યો છે. કેનેડાના ફાર્મિંગ, ફુડ પ્રોસેસિંગ, હેલ્થકેર જેવા સેક્ટર્સ માઈગ્રેટેડ લેબર્સ પર જ નભે છે. હાલના દિવસોમાં આ સેક્ટર્સમાં કામ કરતા અને કોરોનાનો ચેપ લાગી જવાનું જોખમ ધરાવતા વસાહતીઓને પીઆર આપવાની માગણીએ પણ જોર પકડ્યું છે.

મહત્વનું છે કે, દર વર્ષે મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ કેનેડા જાય છે, અને કેનેડાના પીઆર લઈ ત્યાં સેટલ થઈ જનારા ગુજરાતીઓની સંખ્યા પણ નાની નથી. આ સિવાય સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા જનારા ગુજરાતીઓનો આંકડો પણ મોટો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.